આદિવાસી લોકનૃત્ય ઘેરીયાને જીવંત રાખવા બીલીમોરામાં યોજાઇ હરિફાઇ
- હરિફાઇને ૨૫ વર્ષ થતાં ઘેરીયા નૃત્ય અને ગીતો નામના પુસ્તકનું વિમોચન કરાયું
- દક્ષિણ ગુજરાતની ૧૧ ટીમોએ ભાગ લીધો
બીલીમોરા, તા. 12 નવેમ્બર 2018, સોમવાર
બીલીમોરા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં લુપ્ત થતી જતી આદિવાસી લોકનૃત્ય ઘેરીયા હરીફાઈનું લાભપાંચમનાં દિવસે આયોજન થયું હતું. આ રપમું વર્ષ હોવાથી આ પ્રસંગે ઘેરીયા-નૃત્ય અને ગીતો પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં કુલ-૧૧ ટીમોએ ભાગ લીધો હતો.
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને અન્ય સંસ્થા દ્વારા ર૪ વર્ષથી દરવર્ષે લાભ પાંચમનાં શુભ દિને ઘેરીયા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં આદિવાસીના લોકનૃત્ય ઘેરીયા કે જે લુપ્ત થઇ રહ્યા છે તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છુટી છવાઈ ઘેરીયા મંડળીયાઓને એક જગ્યા પર પોતાનો કસબ બતાવવાની આ હરીફાઈએ તક પુરી પાડી છે.
વર્તમાન ઈન્ટરનેટ યુગમાં પણ આ લોકકલાને જીવંત રાખવાનો પ્રયાસને આજે રપ વર્ષ થતાં હોવાથી આ પ્રસંગે ડો.ઈશ્વરચંદ્ર દેસાઈ લિખીત ઘેરીયા નૃત્ય અને ગીતો નામનાં પુસ્તકનું વિમોચન ઓલ ઈન્ડિયા આર્કિટેક્ટ એસોસીએશનનાં પ્રમુખ રાજેન્દ્રકુમાર દેસાઈ (મૂળ રહે.વલોધ, બીલીમોરા અને હાલ રહે.અમદાવાદ)નાં હસ્તે કરવામાં આવ્યું હતું. ઘેરીયા હરીફાઈને નિહાળવા માટે લોકોએ ખુબ મોટી સંખ્યામાં ભીડ કરી હતી.
ઘેરીયાએ આદિવાસી પ્રજાનું લોકનૃત્ય છે. જે દક્ષિણ ગુજરાતમાં દિવાળીથી દેવ દિવાળી સુધી જ્યારે પંચમહાલ ગોધરા વિસ્તારનાં આદિવાસીઓ હોળી વખતે રમે છે. આ રમવાની ક્રિયામાં નૌટંકીઓ સમાયેલી છે. માતૃશક્તિની આરાધાનાને પરિણામે તેમની સાત્વિક્તાને ગૃહિણીઓ પાંખે છે. આ ઘેરનૃત્યમાં લય-લહેકા અને તાલબધ્ધ જોવા મળે છે. આજે મોડી સાંજે શરુ થયેલી ઘેરીયા હરીફાઈમાં દક્ષિણ ગુજરાતમાંથી કુલ-૧૧ ટીમોએ ભાગ લીધો હતો. જેનાં પરિણામો મોડી રાત્રે આવવાની સંભાવના છે.
દંતકથા મુજબ રાઠૌરોએ પાવૈયાનો વેશ અપનાવ્યો હતો
એક દંતકથા મુજબ પાવાગઢનાં ચાંપાનેર પર મુસ્લીમ આક્રમણની સાથે ધર્માતર પણ જોડાયું હતું. જેમાંથી નીકળીને રક્ષણ મેળવવા રાઠૌરોએ પાવૈયાનો વેશ અપનાવ્યો હતો. તે સમયે પાવૈયાઓને મુક્ત વિહારની છૂટ હતી. તેથી આ વેશમાં તેઓ જીવ અને ધર્મ બચાવી છટકી શક્યા હતા. રાઠૌરોનું ત્યારબાદ રાઠોડ થયું. આથી ૧પમી સદીમાં ઘેરીયા નૃત્યુ શરૂ થયું હોવાનું કહેવાય છે.