સુરત,તા.20 મે 2021,ગુરૂવાર
ટ્રાફીક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે દરવર્ષે ટ્રાફિક જાગૃતિ સપ્તાહનું આયોજન કરે છે.અને આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકો ને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવે છે.હવે ટ્રાફિક પોલીસ દ્વારા સપ્તાહ થી એક પગલું આગળ વધી લોકોમાં અવેરનેસ માટે વિવિધ સ્લોગન સાથેના કૅલેન્ડર અને સ્ટીકર તૈયાર કર્યા છે.જેમાં ટ્રાફિક નિયમન કરવાના ફાયદા અને દંડ વગેરે ની માહિતી આપવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા એસીપી અશોકભાઈ ચૌહાણ કહે છે કે "અમે લોકો ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ટ્રાફિક સપ્તાહ નું આયોજન કરીએ છીએ. અને તે સાથે વિવિધ કાર્યક્રમો પણ કરતાં હોઈએ છે. છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક અંગેની જાગૃતિ ના કાર્યકમો કરવાથી અકસ્માતો ઘટાડો થયો છે. અને લોકો ટ્રાફિક અંગે જાગૃત થયા છે .પરંતુ આ કાર્યક્રમને એક પગલું આગળ વધારીને લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તરફથી એક કૅલેન્ડર બનાવ્યું છે .જેમાં ટ્રાફિક નિયમો અંગેના વિવિધ સૂત્રો લખવામાં આવ્યા છે.
ટ્રાફિક નિયમન ન કરવાથી અકસ્માતો થાય છે તે અંગે માહિતી આપવામાં આવી છે .આ સાથે જ અલગ-અલગ પ્રકારના સ્ટીકર પણ બનાવ્યા છે. સ્ટીકર અમે ગાડી પર અને ટુ-વ્હીલર પર લગાડીશું. આ સ્ટીકર્સ માં પણ ટ્રાફિક ના નિયમ ભંગ કરવા બદલ કયા પ્રકારના દંડ થાય છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. કૅલેન્ડર અમે વિવિધ શાખાઓમા અને મહત્વના વ્યક્તિઓને આપીશું. જેથી તેઓ પણ લોકોને આ અંગે જાગૃત કરી શકે.


