-પાંચ વર્ષનો દીપડો પકડાયો છતાં હજી ખેતર
વિસ્તારમાં દીપડા હોવાની ગ્રામજનોની રજૂઆત
બારડોલી
વાલોડ તાલુકાના નાલોઠા ગામે રહેણાંક વિસ્તારમાં સતત આંટાફેરા મારી મરઘાનો શિકાર કરતા કદાવર દીપડાને પકડવા વનવિભાગે પાંજરૃ ગોઠવતા દીપડો પાંજરે પૂરાયો હતો. હજુ પણ ખેતર વિસ્તારમાં દીપડા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે.
નાલોઠા ગામે જાપી ફળિયામાં માનસિંગભાઇ પોસલાભાઈ ચૌધરી પરિવાર સાથે રહી ખેતી કરે છે. છેલ્લા ચાર દિવસથી કદાવર દીપડો માનસિંગભાઇના ખેતર અને ઘર નજીક આંટાફેરા કરીને પાલતું મરઘાનો શિકાર કરી જતો હતો. જે અંગે ફળિયાના રહીશોએ વાલોડ વનવિભાગને જાણ કરવા સાથે અરજી આપી હતી. જે આધારે વાલોડ વનવિભાગે મરઘાના મારણ સાથે માનસિંગભાઇના ઘર નજીક પાંજરૃં ગોઠવ્યું હતુ. દરમિયાન ગુરૃવારે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પાંચ વર્ષનો કદાવર દીપડો મરઘીનો શિકાર કરવા જતાં પાંજરે પૂરાયો હતો. જે અંગે વાલોડ વનવિભાગને જાણ કરાતાં દીપડાને વાલોડ નર્સરી ખાતે રાખવામાં આવ્યો છે. રાત્રિના સમયે દીપડાને ગાઢ વનક્ષેત્રમાં છોડવામાં આવશે. નાલોઠા ગામે ખેતર વિસ્તારમાં હજુ પણ વધુ દીપડા હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી.


