Gujarat

સુરતના જાહેર રસ્તા પરના કુખ્યાત દબાણ પાલિકા હજી હટાવી શકી નથી

By GS Team
16 Nov 20212 mins read
This article was originally published on 16 Nov 2021
સુરતના જાહેર રસ્તા પરના કુખ્યાત દબાણ પાલિકા હજી હટાવી શકી નથી

કાદરશાની નાળ, ચૌટા બજાર, મજુરાગેટ, ઝાંપા બજાર, કમાલ ગલી, બરોડા પ્રિસ્ટેજ, રાંદેર બસ સ્ટેશન સહિતના અનેક દબાણ લોકો માટે સમસ્યારુપ

સુરત, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર 

સુરત મ્યુનિ. કમિશ્નરે મોટા ઉપાડે શહેરના રસ્તા અને ફુટપાથ પર લોકોને અડચણરૃપ દબાણ ચલાવી ન લેવાય તેવી જાહેરાત કરી છે પરંતુ અનેક વિસ્તારમાં લોકો માટે આફતરૃપ બનેલા ગેરકાયદે દબાણ હટાવાવમાં પાલિકાને એક ટકા પણ સફળતા મળી નથી. દબાણ માટે કુખ્યાત વિસ્તારમાં પાલિકા તંત્ર દબાણ હટાવી શકી નથી જેના કારણે લોકોની હાલાકી વધી રહી છે. પહેલાં પાલિકા તંત્ર લોકો માટે ન્યુસન્સરૃપ એવા દબાણ હટાવે ત્યાર બાદ જ અન્ય કોઈ નિયમ જાહેર કરે તેવી માગણી લોકો કરી રહ્યાં છે. 

ગુજરાતની અન્ય મહાનગરાપાલિકામાં જાહેર રસ્તા પર નોનવેજ ઈંડાની લારીઓ હટાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સુરત મ્યુનિ. તંત્રએ નોનવેજ-ઈંડાની લારીનું નામ લીધા વિના જાહેર રસ્તા અને ફુટપાથ પર દબાણ ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરી છે. ગઈકાલે મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ સુરતના જાહેર રસ્તા અને ફુટપાથ પર લોકો માટે ન્યુસન્સરૃપ દબાણ હોય તેને દુર કરવા માટેની વાત કરી હતી પરંતુ મ્યુનિ. કમિશ્નરની આ વાતનો અમલ થશે નહીં તેવું સુરતીઓ કહી રહ્યાં છે.

સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનટકટ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી મજુરાગેટ વિસ્તારમાં ફુટપાથ અને સર્વિસ રોડ પરના દબાણ દુર  કરવા માટે રજુઆત કરતાં આવ્યા છે. આ માટે પાલિકા કમિશ્નરે સુચના આપી હોવા છતાં દબાણ હટવાના બદલે વધી રહ્યાં છે. આવી જ રીતે શહેરના પાણીની ભીત પરના દબાણ દુર કરવા પાલિકાની ટીમ ગઈ ત્યારે ચૌટા બજારમાં હપ્તા લઈને દબાણ કરવા દેવામાં આવે છે તેવો આક્ષેપ કરાતાં પાલિકાએ ચૌટા બજાર કે પાણીની ભીતના દબાણ હટાવ્યા ન હતા. આ ઉપરાંત બે દાયકાથી નાનપુરા અર્પણ એપાર્ટમેન્ટ બહાર માથાભારે દબાણ કરનરાઓ દબાણ કરી રહ્યાં છે તેને દુર કરવાની ફરિયાદ કરી તો પાલિકાએ દબાણ હટાવાવના બદેલ દબાણ કરનારાને નોટીસ આપી હતી.

આ ઉપરાંત દબાણ માટે કુખ્યાત કમાલ ગલીમાં પાલિકાની વોર્ડ ઓફિસ ન દેખાઈ અને વાહન ચાલવામાં અડચણ પડે તેમ જાહેર રસ્તા પર દબાણ થાય છે. નવસારી બજાર તલાવડીમાં જાહેરમાં દબાણ કરીને નોનવેજની લારીઓ ચાલે છે. 

બરોડા પ્રિસ્ટેજ, રાંદેર બસ સ્ટેશન, પાલનપોર મશાલ સર્કલ, કાદરશાની નાળ, ભટાર વિસ્તારમાં શાકભાજી અને નોનવેજના જાહેર રસ્તા પર કાયમી દબાણ છે તે પણ પાલિકા તંત્ર દુર કરી શકી નથી.જેના કારણે અન્ય પાલિાકની જેમ નોનવેજ કે ઈંડાની લારીઓ રસ્તા પરથી દુર કરવાની કામગીરી પછી કરવામા આવે પહેલાં લોકો માટે ન્યુસન્સ રૃપ છે તેવઆ આ દબાણ તાત્કાલિક ધોરણે દુર કરવા માટેની માગણી સુરતીઓ કરી રહ્યાં છે.