સુરત: મહાવીર માર્કેટના વેપારીને કોરોના પોઝિટિવ આવતા આખી લાઇનની દુકાનો બંધ કરાવાઈ
સુરત, તા. 23 જુલાઈ 2020, ગુરૂવાર
કાપડ બજારની મહાવીર માર્કેટના એક વેપારીને કોરોના પોઝિટિવ આવતા, પ્રશાસન દ્વારા આખી લાઈનની દુકાનો બંધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોના સંક્રમણ રોકવા અત્યારે કાપડ બજારમાં ઑડ- ઇવન ફોર્મ્યુલાથી દુકાનો ખોલવામાં આવે છે.
મહાવીર માર્કેટ કાપડ બજારમાં મધ્યમાં આવેલી માર્કેટ છે અને આજે સવારે આખી લાઈનની દુકાનો બંધ કરાવવામાં આવતાં, વેપારીઓમાં જોકે ફફડાટ વ્યાપી ગયો હતો. માર્કેટ વર્તુળમાંથી મળતી માહિતી અનુસાર, એસએમસીની અને પોલીસની ટીમ રોજે-રોજ માર્કેટ વિસ્તારની મુલાકાત થઇ રહી છે અને ચકાસણી કરી રહી છે.
અત્યારે વેપારીઓને ડર એ વાતનો છે કે, ઑડ-ઇવન ફોર્મ્યુલાથી માર્કેટમાંની દુકાનો ખોલવામાં આવી રહી હોવા છતાં સંક્રમણના કેસો મળી રહ્યાં છે. આજે બપોર પછી સમગ્ર કાપડ બજારમાં દુકાનો બંધ કરાયાનો કિસ્સો ચર્ચાઈ રહ્યો છે.