- ધો. 2ના વિદ્યાર્થીઓના વાંચન પર ભાર મુકાશે- ધો. 3ના વિદ્યાર્થીને વાંચતા કરવા માટેનો પ્રયાસ- વિદ્યાર્થીના વાંચન માટે શિક્ષક, આચાર્ય, શાસનાધિકારીની જવાબદારી નક્કી થશે
સુરત, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર
જુન 2019થી શરૂ થતાં નવા સત્રમાં ધો. 3ના વિદ્યાર્થીને વાંચતા કરવા માટેના મરણીયા પ્રયાસ થઈ રહ્યાં છે. સમિતિની શાળામાં વિદ્યાર્થીઓના પાયો કાચો હોવાની ફરિયાદ બાદ ટેસ્ટમાં આ વાત સાચી સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓનોપાયો સુધારવા માટે ખાસ ક્લાસીસ કરવામાં આવ્યા હતા. હવે ધો. 2ના વિદ્યાર્થીઓને વાંચતા કરવા માટે શિક્ષક, આચાર્ય, સીઆરસી અને શાસનાધિકારી સુધીની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
હાલ 29 એપ્રિલ સુધી ધો. 2ના વિદ્યાર્થીઓને વાંચતા કરવા માટેના ખાસ ક્લાસીસ ચાલી રહ્યાં છે. 30 એપ્રિલના રોજ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં આવશે જો તેમાર્ધાર્યું પરિણામ ન આવે તો શિક્ષક અને વિદ્યાર્થીઓએ વેકેશનમાં પણ કામગીરી કરવી પડશે તેવું આયોજન થઈ રહ્યું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળઆમાં ધો. 2ના વિદ્યાર્થીઓને વાંચતા ન આવડતું હોનો સર્વે બહાર આવ્યા બાદ શિક્ષકોને ખાસ પ્રકારની તાલિમ આપવામાં આવી હતી. શાળા સમય પહેલા અને શાળા સમય બાદ આવા નબળા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યા હતા.
હવે 30 એપ્રિલના રોજ થર્ડપાર્ટી મુલ્યાંકન કરવામાં આવશે. આ પહેલા વચગાળાનું એક મુલ્યાંકન કરવામા આવ્યું હતું તેમાં પરિણામ ધાર્યું આવ્યું ન હતું. જેના કારણે નિદાન કશોટીની કામગીરી માટે હાલ ભાર પુર્વક કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી રહી છે. 30 એપ્રિલના રોજથર્ડ પાર્ટી મુલ્યાંકનની કામગીરી થશે જો તેમાં ધાર્યું પરિણામ ન આવે તો વેકેશન દરમિયાન પણ આવા વિદ્યાર્થીઓને વાંચતા લખતા શિખવવાની કામગીરી કરવી પડશે.
આટલું જ નહીં ધો. 2ના વિદ્યાર્થીઓનાવાંચન માટે શિક્ષક, આચાર્ય અને સીઆરસી સાથે સાથે શાસનાધિકારીની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. સરકારની સુચના બાદ જુન 2019નું સત્ર શરૂ થાય ત્યારે ધો. 3માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીને વાંચતા આવડે જે ફરજ્યાત બની જશે. સમિતિ અને શિક્ષકો આ માટેઅનેક પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેની સફળતા કેટલીક છે તે તો 30 એપ્રિલના રોજ મુલ્યાંકન થશે ત્યાર બાદ જ ખબર પડશે.
વાંચતા ન આવતડું હોય તેવા વિદ્યાર્થીને દત્તક લેવાયા
સમિતિની સ્કુલમાં ધો. 2ના વિદ્યાર્થીઓને હજી વાંચતા ન આવડતું હોવાન કારણે આગામી શૈક્ષણિક સત્રમાં કોઈ પણ હિસાબે આ વિદ્યાર્થીને વાંચતા કરવા માટે સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં જે સ્કુલમાં વિદ્યાર્થીને વાંચતા ન આવડતું હોય તેના માટે તે વર્ગ શિક્ષકે આવા વિદ્યાર્થીને દત્તક લઈને કામગીરી કરવાની રહેશે.
આ ઉપરાંત જેટલા વર્ગમાં શિક્ષકો દત્તક લે તે શાળાના આચાર્યએ પણ તેમની સ્કુલના ધો. 2ના તમામ બાળકોને દત્તક લેઈને તેઓને વાંચતા આવડતું છે કે નહીં તેની ચકાસણી કરવી પડશે. આ ઉપરાંત તે વિસ્તારના સીઆરસીએ પણ શાળાને દત્તક લેવી પડશે.
શિક્ષક, આચાર્ય વિદ્યાર્થી અને શાળા દત્તક લઈને ધો. 2ના વિદ્યાર્થીઓને વાંચતા શિખવશે તેના પર શાસનાધિકારીએ નજર રાખવી પડશે. આટલું જ નહીં પરંતુ શાસનાધિકારીએ પણ સેન્ટ્રલ ઝોનની શાળા દત્તક લઈને શિક્ષક, આચાર્ય અને સીઆરસીની કામગીરી પર સીધી નજર રાખવી પડશે.
પાયો કાચો રહેવા પાછળ શિક્ષકોને અન્ય જવાબદારી પણ કારણભુત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓનો પાયો કાચો હોવા પાછળ શિક્ષકોને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે પરંતુ શિક્ષકોની સાથે સાથે બાળકોના પાયો કાચો રહેવા માટે તંત્ર પણ એટલું જ જવાબદાર છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત વસ્તી ગણતરી, બી.એલ.આ.., ચુટણી લક્ષી કામગીરી, રમોત્સવ, વિજ્ઞાન ગણિત મેળા, શિક્ષકોની ઘટ હોવાથી પટાવાળા અને ક્લાર્કની કામગીરી કરવાની સાથે સાથે સરકારના વિવિધ કાર્યક્રમ અને વિડિયો કોન્ફરન્સ અને વિવિધ મીટીંગમાં હાજરી આપવાની કામગીરી પણ શિક્ષકોના માથે જ હોય છે.
મોટા ભાગની શાળાોમા શિક્ષકની ઘટ હોવાના કારણે શિક્ષકો પર કાર્યભાર વધુ હોય છે આવા બધા કારણો સાથે કેટલાક શિક્ષકોની નબળી કામગીરી પણ બાળકના પાયો કાચો રહેવા માટે જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે.


