For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના યુવાનના ફેફસા બેંગ્લોર અને હૃદય મુંબઇના દર્દીમાં ધબકતા થયા

- સુરતમાંથી ફેફસા ટ્રાન્સફર કરી ટ્રાન્સપ્લાન્ટનો ગુજરાતનો પહેલો કિસ્સો

Updated: May 16th, 2019

Article Content Image

- બ્રેઇનડેડ વ્રજેશ શાહના ફેફસા ૧૯૫ મિનિટમાં બેંગ્લોર અને હૃદય ૯૦ મિનિટમાં મુંબઇ પહોંચાડાયું

- ૭ વ્યક્તિને નવજીવન અને રોશની મળી

(પ્રતિનિધિ દ્રારા) સુરત, તા. 16 મે 2019, ગુરૂવાર

સુરતના અડાજણના બ્રેઇડેડ જાહેર કરાયેલા યુવાનના અંગોના દાનથી ૭ વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે. તેમજ પહેલીવાર દાનમાં મળેલા ફેફસાને સુરતથી ૧૨૯૩ કિલોમીટર દુર બેંગ્લોર સુધી ૧૯૫ મિનિટમાં લઇ જઇને દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે યુવાનનું હૃદયને ૯૦ મિનિટમાં મુંબઇ પહોંચાડીને ત્યાં અન્ય દર્દીને શરીરમાં ધબકતું કરાયું હતું. 

અડાજણના પાલનપુર કેનાલ રોડ, એલ.પી.સવાણી સ્કુલની સામે રાજહંસ વિંગ્સ, રાજવર્લ્ડ રહેતા ૪૨ વષીૅય વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈ.ટી.ટ્રેનીંગ એકેડેમી ચલાવતા હતા. ગત તા.૧૨મીએ  બપોરેે તેમની તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. આ અંગે ડોનેટલાઇફની ટીમને જાણ થતા વ્રજેશના પરિવારજનોને અંગદાન અંગે સમજાવતા તેમણે સંમતી આપી હતી. 

જોકે, ગુજરાતમા હ્ય્દય અને  મુંબઇમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇ દર્દી ન હોવાથી  ફેફસાને સુરતથી ૧૨૯૩ કિલોમીટર દુર બેંગ્લોરની હોસ્પિટલમાં ૧૯૫ મિનિટમાં પહોંચાડીને ૫૯ વર્ષીય દર્દી અશોક ચૌધરીને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા. જ્યારે દાનમાં મળેલા હૃદયને ૯૦ મિનિટમાં ૨૬૯ કિલોમીટર દુર મુંબઇની હોસ્પિટલમાં પહોંચાડી ૪૪ વર્ષીય દર્દી પ્રકાશ શાંતિલાલ શાહના શરીરમાં ધબકતું કરાયું હતું. આ દર્દીની હૃદયના પંપીંગની ક્ષમતા ઘટીને પાંચથી ૧૦ ટકા થઇ ગયેલી હતી. 

દાન મળેલી કિડની પૈકી એક અમદાવાદ રહેતા યશપાલસિંહ કનકસિંહ માટીએડા(ઉ.વ. ૨૦) અને બીજી કિડની અમદાવાદના જ રહીશ રહેવાસી કમલેશ નારણભાઈ સોલંકી (ઉ.વ. ૨૮)ને ટ્રાન્સ્પ્લાન્ટ કરાઇ હતી. જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ઊંઝા રહેતા ઇન્દુબેન દિનેશભાઈ પટેલ (ઉ. વ. ૪૭)માં કરાયું હતું. જ્યારે ચક્ષુનું દાન લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટે સ્વીકાર્યું હતું. વ્રજેશ શાહના અંગદાનથી ૭ વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે. ફેફસા અને હ્યદયને સુરતથી ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરીડોર રચવામાં આવ્યો હતો.

સુરતમાંથી ફેફસાના ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટની પહેલી ઘટનાઃ હૃદય ટ્રાન્સફર કરવાનો ૨૨મો પ્રસંગ

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની આ બાવીસમી ઘટના છે, જેમાંથી ૧૬ હૃદય મુંબઈ, ૩ હૃદય અમદાવાદ, ૧ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે. જ્યારે ફેફસાના દાનની સૌપ્રથમ ઘટના છે. જે બેંગ્લોર મોકલવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૯૧ કિડની, ૧૨૧ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૨ હૃદય, ૨ ફેફસા અને ૨૩૮ ચક્ષુઓના દાન મેળવીન ે ૬૭૭ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

Gujarat