તક્ષશિલા અગ્નિ કાંડમાં પોલીસ કમિશ્નરને તપાસ અહેવાલ સાથે 24મી જૂને હાઈકોર્ટમાં હાજર થવા હુકમ
સુરત, તા. 12 જૂન 2019, બુધવાર
સુરતના સરથાણા જકાતનાકા સ્થિત તક્ષશિલા અગ્નિ કાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીઓના મોત નિપજયા હતા. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર બાંધકામ તથા બેદરકારી દાખવી સાપરાધ મનુષ્યવધના ગુનામાં આરોપી બિલ્ડર બિલ્ડર હરસુખ વેકરીયા, રમેશ કહાર, પાર્ટનર જીગ્નેશ પાટીદાર, ટ્યુશન ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી સહિત ફાયર વિભાગના બે અધિકારી એસ કે આચાર્ય તથા કીર્તિ મોઢ પરાગ મુનશી જયેશ સોલંકી વગેરેની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
જે દરમિયાન આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા તથા અત્યાર સુધી થયેલી પોલીસ તપાસ કાર્યવાહી અંગેનો રિપોર્ટ રજૂ કરવાની માંગ સાથે ફરિયાદી જયેશ ગજેરાએ ઝકી શેખ મારફતે ગુજરાત હાઈકોર્ટમા પીટીશન કરી હતી.
પીટીશનમાં સુરત પોલીસ કમિશનર તથા સુરત મ્યુનિસિપલ કમિશનર વગેરેને પ્રતિવાદી તરીકે જોડવામાં આવ્યા છે. અલબત્ત ગુજરાત હાઈકોર્ટનું ઉનાળુ વેકેશન પૂરું થતાં આજે તક્ષશિલા આગ હોનારત કેસમાં ભોગબનનાર ફરિયાદીએ કરેલી પિટિશનને હાઇકોર્ટે એડમિટ કરી છે.
હાઈકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનરને અત્યાર સુધી તક્ષશિલા અગ્નિ કાંડમાં થયેલી પોલીસ તપાસ રિપોર્ટ સાથે આગામી 24મી જૂને હાઈ કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે.