સુરત: 150 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલ ખાલી કરવાનો રિપોર્ટ આવ્યો
- કેમ્પસના નાના રૂમોમાં OPD તબીબો ચલાવશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 15 એપ્રિલ 2019 સોમવાર
સુરત ચોકબજારમાં આવેલી 150 વર્ષ જૂની ઐતિહાસિક સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરીત હોવાના એસવીએનઆઈટીના રિપોર્ટ બાદ બિલ્ડીંગને ખાલી કરવાની સુચના મળી છે. જેથી તંત્ર દ્વારા કેમ્પસમાં આવેલા રૂમમા જ નાના રૂમોમાં સારવાર આપવા ડોક્ટર મજબૂર બન્યા છે.
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ચોક બજાર ખાતે આવેલી દોઢસો વર્ષ જૂની ઐતિહાસિક સિવિલ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે તમામ પ્રકારની સારવાર મળતી હતી. જેમાં ડીલીવરી, આંખ વ્યસન મુક્તિ, મેડિસિન, બાળકો સહિતના વિભાગોમાં સારવાર મળતી હતી. જોકે 50 વર્ષ પહેલા સુરત નવી સિવિલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તેથી નવી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ શરૂ થઈ હતી.
દરમિયાન હાલમાં જૂની સિવિલ હોસ્પિટલમાં આંખ, દાંત, ચામડી અને બાળકોના વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે રોજના તમામ વિભાગના 350થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.
રિઝનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર આર.કે કંછલે જણાવ્યું હતું કે એસવીએનઆઈટી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા આ બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ તૈયાર થયેલા રિપોર્ટમા જૂની સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ ખાલી કરવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી ચોમાસા પહેલા આ બિલ્ડિંગને ખાલી કરી નાખવાની સુચના આપવામાં આવી છે. જોકે આગામી મહિનાઓમાં જૂની બિલ્ડીંગની પાસે નવું બિલ્ડીંગ બાંધવામાં આવશે. જેમાં વધુ સારી સુવિધાઓ દર્દીને મળશે. નોંધનીય છે કે હાલમાં જૂની સિવિલ હોસ્પિટલમાંથી વિવિધ વિભાગો કેમ્પસમાં આવેલા રૂમોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે નવી બિલ્ડીંગ બંધાયા બાદ દર્દીઓની તકલીફ દૂર થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.