સુરતના ઉધના દરવાજા ફ્લાય ઓવર બ્રિજ પર ભ્રષ્ટાચારના ખાડા : બ્રિજ ધોવાતા સળીયા દેખાયા, વાહન ચાલકોમાં ગભરાટ
Surat Bridge : સુરતના રીંગરોડ પર સતત ટ્રાફિકથી ધમધમતા રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજમાં ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. આ બ્રિજ પર ખાડા પડતા સળીયા દેખાતા હોવાથી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ થઈ રહી છે. હાલમાં આ બ્રિજ પરના ખાડામાં સળીયા દેખાતા હોય વાહન ચાલકો માટે આ બ્રિજ જોખમી બની રહ્યો હોવાની ફરિયાદ છે. પાલિકા દ્વારા થીંગડા મારવામાં આવી રહ્યા છે પરંતુ હવે આ સળીયા વાહન ચાલકો માટે જોખમી બની શકે તેવી ભીતિ છે.
સુરત શહેરમાં નાના-મોટા 125 બ્રિજ બની જતાં બ્રિજ સિટી બની ગયું છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. હાલમાં રીગરોડ પરનો ફ્લાય ઓવર બ્રિજ પર કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને તેમાં સળીયા બહાર દેખાતા જોવા મળી રહ્યાં છે. આ ખાડાના કારણે વાહન ચાલકોને નુકસાન થવા સાથે તેઓની મુશ્કેલી વધી શકે તેમ છે. તેથી તાત્કાલિક રીપેર કરવા માટેની માગણી થઈ રહી છે.