સુરતમાં 74માં પ્રજાસત્તાક દિને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન થયું
Updated: Jan 27th, 2023
- સુરતી મોઢવણિક સમાજના આઘેડના અંગદાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું
- અડાજણમા રહેતા નિમેષ ગાંધીના કિડની અને ચક્ષુનું દાન તેમના પરિવારના સભ્યોએ કર્યું
સુરત,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર
અડાજણમાં રહેતા અને શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ આઘેડના પરિવારે કિડની અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
અડાજણમા હનીપાર્ક રોડ કેદારભવન એપાર્ટમેન્ટ પાસે મણીનગર રો હાઉસ રહેતો અને LIC એજન્ટ તરીકે કાર્ય કરતા 44 વર્ષીય નિમિષ રજનીકાંત ગાંધીને ગત તા. ૨૩મીએ માથામાં દુઃખાવો અને ઉલટી થઈ હતી. જેથી પરિવારજનોએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ વધુ સારવાર માટે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું એમ.આર.આઈ કરાવતા મગજની લોહીની નળીમાં બ્લોક હોવાનું નિદાન થયું હતું. જોકે ગત. ૨૩મીએ ન્યુરોસર્જન ડોક્ટરની ટીમે સર્જરી કરી લોહીની નળીમાંથી ગાંઠ કાઢી સ્ટેન્ટ મુક્યો હતો. બાદમા ગત. ૨૪ મીએ ન્યુરોસર્જને મગજનો સોજો ઓછો કરવા માટેની સર્જરી કરી હતી.
તા. ૨૫મીએ ન્યુરોસર્જન સહિતના ડોક્ટરની ટીમે નિમીષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. તેમની કિડની અને લિવર અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું હતું. દાનમાં મળેલી બંને કિડની પૈકી એક કિડનીનું અમદાવાદની રહેતા ૬૭ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું અમદાવાદના રહેતા ૪૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું છે. જ્યારે નિમીષના પરિવારમાં વૃદ્ધ માતાપિતા રજનીકાંત અને સુધાબેન, પત્ની ચૈતાલી, પુત્રી કવિતા જે બીબીએ ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને પુત્ર રૂદ્ર જે બીસીએના બીજા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે.