વિદેશમાં અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી એજ્યુકેશન લોન મેળવવી વિદ્યાર્થીઓ માટે અઘરી
- લોન પાસ થયાના 6 થી 7 મહિને પણ વિદ્યાર્થીઓના પૈસા આવતા નથી
સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર
દરવર્ષે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ઘણા વિદ્યાર્થીઓ જતા હોય છે. અને આ માટે તેમને એજ્યુકેશન લોન પણ લેવી પડતી હોય છે. જો કે તેઓના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકાર તેમને લોન પણ આપે છે પરંતુ આ લોન મેળવવા માટે વિદ્યાર્થી અને વાલીઓના નાકે દમ આવી જાય છે. વિઝા અને વિદેશમાં એડમિશન તો સહેલાઈથી મળી જાય છે. પરંતુ સરકારી લોન મળવામાં 6 થી 7 મહિનાના નીકળી જતા હોય છે. વિદેશ અભ્યાસ લોનમાં લેટ ફી ને લઇને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકારને પત્ર લખી ચૂક્યા છે.
ગુજરાતી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ વિદેશમાં મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સામાન્ય વ્યાજમાં જ લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તેમને સાધારણ અને ઓછા વ્યાજના દરે ગુજરાત સરકાર તેમને આર્થિક રીતે મદદ કરી શકે. પરંતુ આ મદદ મેળવવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના પરસેવા નીકળી જાય છે .સરકારી બાબુઓ વિદ્યાર્થીઓની અરજી ના નિકાલ માટે સમય લેતા હોય છે અને આ સમય કેટલાક મહિના સુધી લાંબો ખેંચાઈ જાય છે. જેની ફરિયાદ પોતે ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાના જ સરકારને કરી છે. પોતાના પુત્રને વિદેશ ભણવા મોકલવા રાજેશભાઈ ઝડફિયા ત્રણ મહિના પહેલા અરજી કરી હતી. વૈદિક BCA માસ્ટર કરવા જર્મની ગયો છે. BCA કોલેજ પૂર્ણ કર્યા બાદ એપ્લાય કર્યું હતું.
આ અંગે વૈદિક ના પિતા એ કહ્યું કે "સરકાર માં 3 મહિના પહેલા લોન માટે એપ્લાય કર્યું હતું. સમાજ કલ્યાણ એજ્યુકેશન લોન માટે મે અરજી કરી હતી. મારો દીકરો વૈદિક જર્મની ગયા ને 3 મહિના થઈ ગયા અને સરકારની લોન પાસ થઈ પણ હજી સુધી રૂપિયા ખાતા માં આવ્યા નથી. દીકરાને વિદેશ મોકલવા સંબંધીઓ પાસે રૂપિયા લીધા છે
સુરતમાંથી વિદેશ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ અપ્લાય કરતા હોય છે સરકારી કચેરીમાં અરજીઓના ઢગલા જોવા મળતા હોય છે એક અનુમાન મુજબ દર મહિને વિદેશ અભ્યાસ કરવા માટે સરકારી કચેરીમાં સૌથી વધુ અરજીઓ આવતી હોય છે અને આ અરજીઓ ના નિકાલ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે અને ત્યાંથી લોન પાસ થાય છે પરંતુ લોન પાસ થયા પછી પણ વિદ્યાર્થીને લોન ની રકમ મળતી નથી. અને વાલીઓ સંબંધીઓ અને અન્ય રીતે રૂપિયા એકત્રિત કરીને પોતાના બાળકને વિદેશ મોકલે છે. બીજી બાજુ પ્રાઇવેટ બેન્ક થી જો એજ્યુકેશન લોન લેવી હોય તો ૧૦ થી ૧૪ ટકા નો વ્યાજ વાલીઓને આપવું પડતું હોય છે.