- અડાજણ રિવરફન્ટ પાસે 19 દેશોના 42 પતંગબાજો, ભારતના છ રાજ્યોના 20 અને સુરતના 40 સ્થાનિક પતંગબાજો જોડાયા
- શરુઆતમાં પવન ન હોવાથી વધુ પતગં ન ચગ્યા ત્યાર બાદ પવન આવતાં દેશી-વિદેશી પતંગબાજોએ ચગાવેલા પતંગના કારણે સુરતનું આકાશ રંગબેરંગી બની ગયું
સુરત,તા.11 જાન્યુઆરી 2023,બુધવાર
આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ભારતમાં યોજાનાર જી-૨૦ સમિટની ‘વસુધૈવ કુટુંબકમ’ની થીમ પર સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે તાપી નદીના તટે આવેલા અડાજણ રિવર ફ્રન્ટ પાસે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમા ૧૯ દેશોના ૪૨ પતંગબાજો, ભારતના છ રાજ્યોના ૨૦ અને સુરતના ૪૦ સ્થાનિક પતંગબાજો જોડાયા હતા,.શરુઆતમાં પવન ન હોવાથી વધુ પતંગ ન ચગ્યા ત્યાર બાદ પવન આવતા દેશી-વિદેશી પતંગબાજોએ ચગાવેલા પતંગના કારણે સુરતમાં આકાશ રંગબેરંગી બની ગયું

ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ કર્યું હતું. તેઓએ રિમોર્ટ કંટ્રોલ થી ઉડતા પતંગ અને ફુગ્ગો હવામાં ઉડાવી પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો.

ઉદ્દઘાટન કરતા મેયરે કહ્યું હતું, રાજ્યની શાંતિ, ભાઈચારો એ સૌને એક સૂત્રમાં જોડનાર પતંગ રૂપી પ્રેમની ફળશ્રુતિ છે. દેશ-વિદેશના બાહોશ પતંગબાજો સુરતના મહેમાન બન્યા છે, જેઓનું સુરતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. સરકારના ઉત્સવો, મેળાઓના આયોજનના કારણે દેશ-વિદેશના ટુરિસ્ટો મોટી સંખ્યામાં ગુજરાતના પ્રવાસન વૈભવ ને માણવા પધારે છે. ઉત્તરાયણના અવસરે વિદેશમાં વસતા હજારો સુરતીઓ પતંગોત્સવની ઉજવણી માટે સુરત આવે છે, જેના કારણે સુરતમાં મોટાપાયે પતંગના ગૃહ ઉદ્યોગનો વિકાસ થયો છે.

આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ કહ્યું હતું, મકરસંક્રાતિનો તહેવાર પ્રકૃતિમય તહેવાર છે. વડાપ્રધાનએ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરાવી હતી. સમગ્ર રાજયમાં તા.૮ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે સ્થળોએ પ્રવાસન નિગમ દ્વારા પતંગ મહોત્સવ યોજાઈ રહ્યા છે. તે સુરત અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

આ પતંગ મહોત્સવમાં અલ્જીરીયા, ચિલી, આર્જેન્ટિના, બલ્ગેરિયા, બેલારૂસ, બેલ્જીયમ, કંબોડીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, એસ્ટોનિયા, જયોર્જિયા, જર્મની, ગ્રીસ, જોર્ડન, ઈટાલી જેવા દેશોના ૪૨ પતંગબાજો તથા ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, રાજસ્થાનના પતંગબાજો પતંગો ચગાવ્યા હતા.શરુઆતમાં પવન ઓછો હોવાના કારણે પતંગબાજો સાથે સાથે જોવા આવનારા સુરતી પતંગ રસીકો પણ નીરાશ થયાં હતા પરંતુ ત્યાર બાદ પવનનો સાથ મળતાં દેશી વિદેશી પતંગબાજોએ ચગાવેલા પતંગના કારણે આકાશ રંગબેરંગી થઈ ગયું હતું. 


