Get The App

સતત 48 કલાકમાં 77 નાટયકૃતિ સાથે 300 સુરતી નાટકકારો 700 પાત્રો જીવંત કરશે

- રંગહોત્ર-૨નો અડધી રાતે પડદો ખૂલશે

Updated: Mar 23rd, 2019

GS TEAM

Google News
Google News
સતત 48 કલાકમાં 77 નાટયકૃતિ સાથે 300  સુરતી નાટકકારો 700 પાત્રો જીવંત કરશે 1 - image


- તા-૨૬મીએ ૧૧ વાગ્યે ઉદ્ઘાટન વિધિ બાદ બરાબર ૧૨ ના ટકોરે વીર હમીરસિંહ મંચ પર આવશે અને તા-૨૮મીની રાત્રે ૧૨ વાગ્યે કુતરાની પૂંછડી વાંકી સાથે પડદો પડશે

(પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 23 માર્ચ 2019, શનિવાર

નાટયકાર ચં.ચી.મહેતાનાં શહેરમાં નાટકકારો અનોખુ કામ કરવા જઇ રહ્યા છે. જેનાથી મહેતાનો આત્મા પણ કહી ઉઠશે વાહ સુરત ! ૨૭મી માર્ચ રંગભૂમિ દિવસને સુરતના નાટકકારો રંગહોત્ર તરીકે મનાવીને નાટકદેવતાનું અનોખુ સન્માન કરે છે. ગત વર્ષે સતત ૨૪ કલાક નાટક ભજવણીના રેકોર્ડ બાદ આ વખતે સતત ૪૮ કલાક નાટકની ભજવણી થશે. અડાજણમાં પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં તા- ૨૬મી રંગહોત્ર-૨ ઉત્સવનો પડદો ખૂલશે. 

સુરત પરફોર્મિંગ આર્ટીસ્ટ એસોસીએશનનાં પ્રમુખ કપિલદેવ શુક્લએ જણાવ્યું કે રંગહોત્ર-૧ ને સુંદર પ્રતિસાદ મળ્યો હોવાથી આ વર્ષે રંગહોત્ર-૨ની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. રંગહોત્રમાં ૨૪ કલાકમાં કુલ ૭૭ કૃતિઓનું મંચન થયુ હતું. હવે રંગહોત્ર-૨ માં સતત ૪૮ કલાક નાટય ભજવણી થશે. જેમાં એકાંકી, નાટયાંશ, એકોક્તિ, માઇમ, રેડિયો નાટક, શેરી નાટક, નૃત્યનાટિકા અને પારસી રંગભૂમિના નાટકો ભજવાશે. ૧૬ જેટલા પૂર્ણ કદના નાટકો પણ ભજવાશે. નાટકકલાનાં તમામ પ્રકારોને રંગહોત્રમાં આવરી લેવાયા છે. સુરતના ૩૦૦થી વધુ કલાકારો દ્વારા આ તમામ નાટકો ભજવાશે. ઇવેન્ટની સફળતા માટે  વિવિધ કમીટીઓ બનાવાઇ છે. જેમાં પણ તમામ કલાકારો જ હશે.

જે તમામ પ્રકારની વ્યવસ્થાની કામગીરી સંભાળશે. બીજી મહત્વની વાત એ છે કે આ ઇવેન્ટમાં કોઇ કલાકાર એ મંચ ઉપરનો હોય કે પર્દા પાછળનો નિશુલ્ક કામ કરશે. ઓપન ફોર ઓલ હોવાથી કોઇપણ નાટકપ્રેમી તેનો લાભ લઇ શકશે. છેલ્લા બે મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે કલાકારો પણ એક મહિનાથી રીહર્સલમાં લાગેલા છે. આ રંગહોત્ર-૨ મા ગુજરાતની આગવી વૈશ્વિક ઓળખ ઉભી કરનાર વિવિધ ક્ષેત્રના ગુજરાતના નાથની કૃતિઓ અથવા તેમના જીવન-કવન પર આધારીત કૃતિઓની ભજવણી મુખ્ય આકર્ષણ રહેશે.

કુલ ૭૭ કૃતિઓમા લગભગ ૩૦૦ કળાકારો, ૭૦૦ જેટલા પાત્રોને ૪૮ કલાક દરમ્યાન મંચ પર રજુ કરશે. રંગહોત્ર-૨ નું ઉદ્ધાટન જાણીતા  અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા સંજય ગોરડીયાના હસ્તે  તા-૨૬મી એ રાત્રે ૧૧ વાગ્યે થશે ત્યારબાદ તા-૨૭મીએ બરાબર ૧૨ ના ટકોરે રંગહોત્ર-૨નો પર્દો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના વીર હમીરસિંહના મંચન સાથે ખુલશે જે તા-૨૮મી રાત્રે ૧૨ વાગ્યે યઝદી કરંજીયાના કોમેડી નાટક કુતરાની પૂંછડી વાંકી સાથે પડદો પડશે. 

પોસ્ટર મેકિંગનું કામ પુરજોશમાં

રંગહોત્રનો લોગો ડિઝાઇન કરનાર ડૉ. વિદુર ગોટાવાલાએ ગત વર્ષે આ ઉત્સવમાં  નાટક માટે ૪૫ જેટલા પોસ્ટર બનાવ્યા હતા. ખુબ ટુંકા ગાળામાં અને શિકાયત નહી પણ પ્રશંસા કરવી પડે એવા પોસ્ટર તેમણે તૈયાર કર્યા હતા. આ વખતે ૨૫ પોસ્ટર તેઓ બનાવી ચુક્યા છે અને બાકીના દિવસોમાં હજુ એટલા જ પોસ્ટર બનાવી દેશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  વિદુર ગોટાવાલાએ જણાવ્યુ કે મુખ્યત્વે પોસ્ટર માટે ફોન્ટ અને થિમ સમય માગી લે છે કેલીગ્રાફીથી ફોન્ટના કામણ પાથરતા હોવાથી એક પોસ્ટર માટે દોઢથી બે કલાક જેટલો સમય લાગી જાય છે. 

Tags :