સુરત: ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન પાઠ ભણાવવા તૈયારી
- ખાનગી શાળાએ ઓનલાઈન શિક્ષણ બંધ કરતાં સરકારી શિક્ષકની પહેલ
ધો. 1થી 8ના ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ સમિતિના એક શિક્ષક વિદ્યાર્થીઓને વિના મુલ્યે ડિજીટલ પાઠ ભણાવશે
સુરત, તા. 27 જુલાઈ 2020 સોમવાર
જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી નહીં લઈ શકાય તેવા નિર્ણય બાદ અનેક ખાનગી શાળાઓએ ઓન લાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. ફીના વાંકે શિક્ષણ બંધ કરાતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ પોતાની શાળા ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પણ વિના મુલ્યે ડિજીટલ પાઠ ભણાવવા માટેની તૈયારી બતાવી છે. આ શિક્ષિકા ખાનગી સ્કુલન ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને મોબાઈલ મારફતે સ્ટડી મટીરીયલ્સ આપવા સાથે માર્ગદર્શન આપવાનો નિર્ણય કર્યો છે.
હાલ કોરોનાના કારણે તમામ સ્કુલ બંધ છે અને હાલ સ્કુલ શરૂ થાય તેવી પણ કોઈ શક્યતા નથી એટલે સ્કુલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
જોકે, કોર્ટે સ્કુલ શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલ દ્વારા ફી વસુલવામાં નહી આવે તેવો ચુકાદો આપ્યો છે. આ લાગુ કરવાની સાથે જ મોટા ભાગની સ્કુલે ઓન લાઈન શિક્ષણ બંધ કરી દીધું છે કે બંધ કરવાની તૈયારી કરી દીધી છે.
આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું જોઈ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ અનોખી પહેલ શરૂ કરી છે. રાંદેર ઝોન વિસ્તારની શાળાના આચાર્ય રૂપાબેન ત્રિવેદીએ સોશ્યલ મિડિયા પર મોટી ફી ન ભરી શકતાં વાલીઓ જોગ એક સંદેશો મુક્યો છે. જેમાં ઓન લાઈન શિક્ષણ ભલે કોઈ સ્કુલે બંધ કરી દીધું હોય પરંતુ ધોરણ 1થી 8ના ખાનગી સ્કુલ જેની ફી ન ભરી શકતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવ્યું છે.
ખાનગી સ્કુલમાં ફી ન ભરી શકતાં વિદ્યાર્થીના વાલીને અપીલ કરતાં કહ્યું છેકે, તેઓનો સંપર્ક કરવાથી તેઓ ધો, 1થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસામં જરૂર હોય તેવું મોટા ભાગનું મટીરીયલ્સ, પીડીએફ ફાઈલ, પીડીએફ બુક ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજીટીલ પાઠ ભણાવશે.
આ ઉપરાંત કેટલીક લીંક મોકલવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઘર બેઠા વિના મુલ્યે પોતાનું શિક્ષણ મેળવી શકશે. આ ઉપરાંત ધો. 6થી 8માં વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનમાં મુશ્કેલી પડે છે તેના માટે પણ કેટલીક એપ્લીકેશન આપશે. આ શિક્ષિકા વર્ચ્યુઅલ ક્લાસીસ પણ ચલાવશે.
રૂપા ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમે સરકારી શિક્ષકો આફતને અવસરમાં બદલીશું અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, શાળા બંધ છે શિક્ષણ નહીં તેથી ફી ન ભરી શકતા વિદ્યાર્થીઓને તેઓ વિના મુલ્યે ઓન લાઈન શિક્ષણ આપશે.