પોલીસની ઓળખ આપી પરપ્રાંતિયોને લૂંટતી ટોળકીના 6 શખ્સો પકડાયા
- પરપ્રાંતિયો ફરિયાદ ન કરતા હોવાથી તેમને ટાર્ગેટ બનાવતા
- પકડાયેલામાં એક તરૂણનો પણ સમાવેશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 10 ઓકટોબર 2018, બુધવાર
વરાછા જગદીશ નગરમાં પરપ્રાંતીયોને પોલીસની ઓળખ આપી માર મારી મોબાઈલ અને રોકડાની મત્તા લૂંટનાર સાત પૈકી પાંચ યુવાન અને એક તરૂણને વરાછા પોલીસે ઝડપી લીધા હતા. આ ટોળકી માત્ર પરપ્રાંતીયોને જ ટાર્ગેટ કરતી હતી.
ગત સોમવારે વરાછા જગદીશનગર ગજાનંદ હોટલના ઉપરના માળે રૂમ નં. ૮ માં રહેતા સંદીપશ્રી ઓમપ્રકાશ સાક્યા અને અન્ય પરપ્રાંતીય યુવાનો પોતાના રૂમમાં હતા ત્યારે છ થી સાત અજાણ્યા તેમના રૂમમાં ઘૂસી આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનોને માર મારી રૂ. ૨૨,૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂ. ૨૦૦૦ મળી કુલ રૂ. ૨૪,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી હતી.
વરાછા સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ભવાની સર્કલ પાસેથી બે સ્પ્લેન્ડર અને નંબર વિનાની બાઈક લઈ ઉભેલા જય અરવિંદભાઈ આંબલીયા (ઉ.વ.૨૧)(રહે, શ્રી દર્શન સોસાયટી, કતારગામ. મૂળ, ભાવનગર), તરલ અરવિંદભાઈ તલસરીયા (ઉ.વ.૨૧)(રહે. માધવ એપાર્ટમેન્ટ, કતારગામ, મૂળ. ભાવનગર), ગૌતમ ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.૨૧)(રહે. જે.કે.પી.નગર, કતારગામ. મૂળ રહે. જૂનાગઢ), ધવલ કનુભાઈ કલસરીયા (ઉ.વ.૨૧)(રહે. ભક્તિનગર સોસાયટી, કતારગામ સુરત, મૂળ રહે. સાવર), હર્ષદભાઈ કાનજીભાઈ સરવૈયા (ઉ.વ.૨૩)(રહે. ઉમિયા એપાર્ટમેન્ટ, ડભોલી ચાર રસ્તા) અને એક તરૂણને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. ૨૦૦૦ અને ત્રણ મોબાઈલ ફોન કબજે કરી પુછપરછ કરતા તમામે તેમના અન્ય એક સાથી પિયુષ સાથે મળી ગત સોમવારે પરપ્રાંતીયોને માર મારી લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. રત્નકલાકાર તરીકે કામ કરતા તમામ મોટેભાગે પરપ્રાંતીયોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી લૂંટ કરે છે. ગત રવિવારે તેઓ ગજાનંદ હોટલની ઉપર પરપ્રાંતીયોને લૂંટવા ગયા હતા પરંતુ તે સમયે રૂમમાં ૧૦ જેટલા યુવાનો હતા અને આ લોકો ત્રણ જ હતા તેથી પરત ફર્યા હતા. આ ટોળકીએ કતારગામ અને એક વિસ્તારમાં પરપ્રાંતીયોને લૂંટયાની આશંકા છે. પરપ્રાંતીયોને ટાર્ગેટ કરવા પાછળ કારણ એ હતું કે તેઓ પોલીસ ફરિયાદ ન કરે.