સુરતનો વિસ્તાર વધતાં ફાયરની સુવિધા ઉભી કરવા માટે કવાયત
Updated: Sep 22nd, 2022
- રાંદેર ઝોનના વરિયાવમાં 14 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ સહિતનું નવું ફાયર સ્ટેશન બનાવશે
- હદ વિસ્તરણ બાદના સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ સહિતના વિસ્તારમાં કોઇ ફાયર સ્ટેશન ન હોવાથી નવું ફાયર સ્ટેશન બનાવાશે
સુરત,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરુવાર
સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારનો સમાવેશ થતાં તે વિસ્તારમાં આગ અકસ્માત રોકવા માટે નવા ફાયર સ્ટેશન ની જરૂરિયાત ઉભી થઈ છે. રાંદેર ઝોનમાં સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ સહિતના વિસ્તારમાં કોઇ ફાયર સ્ટેશન ન હોવાથી રાંદેર ઝોનમાં વરિયાવ માં 14 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ સહિત નું નવું ફાયર સ્ટેશન બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ થઈ છે તેના પર આવતીકાલે નિર્ણય કરાશે.
જૂન 2020માં સુરત શહેરના હદ વિસ્તરણ થતાં સુરત નો વિસ્તાર વધી ગયો છે સાથે વસ્તીમાં પણ વધારો થયો છે. નવા વિસ્તારમાં હાલની વસ્તી ઉપરાંત ભવિષ્યમાં વિકાસ થવા સાથે હાઇરાઈઝ ઇમારતો, કોમર્શિયલ મિલકત નો પણ ઉમેરો થશે. જેના કારણે નવા વિસ્તારમાં ફારય સ્ટેશન બનાવવા માટેની જરૂરિયાત ઉભી થઈ છે.
પાલિકાના હદ વિસ્તરણ બાદ રાંદેર ઝોનમાં સમાવિષ્ટ વરિયાવ પાસેના સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા-કોસાડ સહિતના ગામોમાં ફાયરની કોઈ સુવિધા નથી. આગ અકસ્માત સમયે આ વિસ્તાર સાથે ઓલપાડ તાલુકાના ગ્રામ્યો વિસ્તારોમાં બચાવ કામગીરી કરી શકાય તે માટે રાંદેરમાં નવા બે ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે.