માન્યતા રદ થવા થતાં સ્કૂલ ચલાવનાર સંચાલકો સામે કલમ-420 મુજબ ગુનો
- રાંદેરની પ્રભાત તારા સ્કૂલના કારભારીઓનું ભોપાળું
- વર્ષ-૨૦૧૬માં માન્યતા રદ થયા બાદ બાળમંદિરથી લઇને ધો-૧૨ સુધીના ક્લાસ બિન્ધાસ્ત ચલાવીને વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમાં મુકી દીધું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર
રાંદેરની પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ્ થઇ ગઇ હોવા છતા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવીને કારર્કિદી સાથે ચેંડા કરવાના ગુનામાં શાળાના પ્રમુખ, મંત્રી અને આચાર્ય વિરૂધ્ધ જિલ્લા શિક્ષણાધિકારીએ કલમ ૪૨૦ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલી પ્રભાત તારા સ્કુલની જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૨૦૧૬ માં વર્ગ ખંડના મુદ્દે માન્યતા રદ્ કરી દેવાઇ હતી. માન્યતા રદ્ થયા પછી સંચાલકોએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. અને બીજી બાજુ માન્યતા રદ થઇ ગઇ હોવા છતા બાળમંદિરથી લઇને ધો-૧૨ સુધીના વર્ગો બિન્દાસ્તથી ચલાવતા હતા.
દરમિયાન હાઇકોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા કરવા અંગેની ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજયગુરૂએ મંગળવારે રાંદેર પોલીસ સ્ટેશનમાં પ્રભાત તારા સ્કુલના પ્રમુખ મંજુબેન સુર્યદેવ સિંધ, મંત્રી અંકિત સુર્યદેવ સિંધ (બન્ને રહે.લીલા વિહાર સોસાયટી રાંદેર) તથા શાળાના આચાર્ય રીટાબેન ઠાકોરભાઇ ચૌધરી આ ત્રણેય વિરૂધ્ધ ૪૨૦, ૪૦૬, ૪૦૫ અને ૧૧૪ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં તેમણે જણાવ્યુ હતુ કે આ શાળાની માન્યતા રદ થઇ ગઇ હોવા છતા પોતાના આર્થિક લાભ તેમજ મોભા માટે સગીર વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશ આપી વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે છેંતરપીંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખુબ જ ગંભીર દુરોગામી અસર થાય તેવો ગુનો કર્યો છે. આમ શાળા સંચાલકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભાવીને લઇને પણ પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે.
બોર્ડની પરીક્ષાના ફોર્મ બીજી સ્કૂલમાંથી ભરાવાતા હતા
છેલ્લા બે વર્ષથી માન્યતા વગર પ્રભાત તારા સ્કુલ સંચાલકો ચલાવતા હતા. અને જયારે પણ બોર્ડની પરીક્ષાઓ આવતી ત્યારે ધો-૧૦ અને ૧૨ માં ભણતા વિદ્યાર્થીઓને બીજી શાળામાં પરીક્ષાનું ફોર્મ ભરાવી દેતા હતા. અને ત્યાથી જ પરીક્ષા આપતા હતા.હાલમાં આ શાળામાં કુલ્લે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ બાળમંદિર થી લઇને ધો-૧૨ સુધીના વર્ગોમાં ભણે છે. આ વર્ષે ધો-૧૦ અને ૧૨ ના ૫૪ વિદ્યાર્થીઓ છે.
૫૦૦ વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા થઇ ગયા અને ડીઇઓ કચેરીનો સ્ટાફ બે વર્ષથી ઉંઘતો રહયો !
છેલ્લા બે વર્ષથી રાંદેર રોડની પ્રભાત તારા સ્કુલ ધમધમતી હોવા છતા જિલ્લા શિક્ષણાધિકારી સ્ટાફને ખબર જ ના પડી તે નવાઇ પમાડે તેવી વાત છે. સ્ટાફ દ્વારા આ શાળાની તપાસ થઇ હતી કે કેમ ? તે પણ તપાસ માંગી લે તેવો વિષય છે. ખાસ કરીને જયારે કોર્ટ દ્વારા આદેશ થયા પછી ફરિયાદ નોંધાઇ તો અત્યાર સુધી ૫૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા કરનાર શાળા સંચાલકો સામે કોઇ કાર્યવાહી કેમ ના થઇ ? તે પણ એક શંકા ઉપજાવે તેમ છે. આથી પોલીસ તપાસમાં સ્ટાફની પણ તપાસ થવી જોઇએ.