Get The App

સુરત પાલિકાના સ્નેહમિલન ગાર્ડનમાં હજારો લોકોની અવર જવર છતાં ટોયલેટ ખંડેર હાલતમાં

Updated: Mar 24th, 2023

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના સ્નેહમિલન ગાર્ડનમાં હજારો લોકોની અવર જવર છતાં ટોયલેટ ખંડેર હાલતમાં 1 - image

- ઘર ઘર શૌચાલય માટે પાલિકા કરે છે અભિયાન પણ ગાર્ડનમાં ટોયલેટ ખંડેર હાલતમાં

- સ્નેહ મિલન ગાર્ડનમાં લેડીઝ ટોઈલેટમાં છતના પોપડા વારંવાર પડતા મહિલાઓના જીવને ખતરો : હાલ પાલિકાએ સમારકામ કર્યું છે પણ લોકો નવા ટોયલેટ બ્લોકની કરી રહ્યાં છે માગણી

સુરત,તા.24 માર્ચ 2023,શુક્રવાર

વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘર ઘર શૌચાલય માટે સુરત મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે. સ્વચ્છ સુરત માટે લોકોને પ્રેરણા આપતી સુરત મહાનગરપાલિકાના એક ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ ખુલ્લામાં સોચ કરવા મજબૂર બની રહ્યા છે. નાનપુરાના સ્નેહ મિલન ગાર્ડનમાં જર્જરિત થયેલા શૌચાલયમાંથી છાસવારે સ્લેબના પોપડા પડી રહ્યા છે તેના કારણે શૌચાલયમાં જતા લોકોની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે. આ શૌચાલય પાલિકા રીપેર કરાવી રહી છે પરંતુ જર્જરીત શૌચાલય નવા બનાવવા માટે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા ખાતે સ્નેહમિલન ગાર્ડન આવ્યું છે. કોટ વિસ્તારમાં આવેલા આ ગાર્ડન સૌથી જૂનો હોવાને કારણે રોજ હજારો લોકો પોતાની હેલ્થ સુધારવા માટે ગાર્ડનનો ઉપયોગ કરે છે. પરંતુ આ ગાર્ડનમાં ટોયલેટ બ્લોક જર્જરિત છતાં ગાર્ડનમાં મુલાકાત લેતા લોકોની હાલત કફોડી થઈ રહી છે.

સુરત પાલિકાના સ્નેહમિલન ગાર્ડનમાં હજારો લોકોની અવર જવર છતાં ટોયલેટ ખંડેર હાલતમાં 2 - image

આ ગાર્ડનની મુલાકાત લેતા એવા સ્થાનિક મનીષ શાહ કહે છે, વર્ષો પહેલા આ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય માવજતના અભાવે ટોયલેટ બ્લોક જર્જરિત થઈ ગયા છે. ત્રણેક દિવસ પહેલા આ ટોયલેટમાં એક મહિલા ગઈ હતી ત્યારે છત પરના પોપડા ધડાકાભેર તૂટી પડ્યા હતા. જોકે આ મહિલાનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ ગાર્ડનમાં મુલાકાત લેનારામાં ગભરાટ ફેલાયો છે. પાલિકા તંત્ર આ ગાર્ડનના ટોયલેટ બ્લોક રીપેર કરવાની કામગીરી કરે છે. પરંતુ આ ટોયલેટ ઘણા જર્જરીત થઈ ગયા છે. જેના કારણે ટોયલેટ રીપેર કરવાની બદલે નવા અને મોટા બનાવવા માટે લોકો માંગણી કરી રહ્યા છે.

રોજ હજારો લોકો આ ગાર્ડનની મુલાકાત લે છે અને ટોયલેટ બ્લોક વર્ષો પહેલા બન્યા છે તે સમયની મુલાકાતીઓની સંખ્યા અને ઉપયોગ જોઈને નાના ટોયલેટ બનાવવામાં આવ્યા હતા. હાલ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે અને ટોયલેટ બ્લોક જર્જરિત હાલતમાં છે. થોડા થોડા દિવસે ટોયલેટ બ્લોકમાંથી સ્લેબના પોપડા પડે છે જે લોકો માટે જોખમી છે. જેના કારણે આવા જોખમી ટોયલેટ તોડીને નવા બનાવવા જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યા છે. આ અંગેની અનેક ફરિયાદ પાલિકા તંત્રને કરવામાં આવી છે પરંતુ તેનો કાયમી નિકાલ આવતો નથી. આવા ટોયલેટમાં લોકો જતા ગભરાતા હોવાથી કેટલાક લોકો બહાર સૌચ ક્રિયા કરે છે જેને કારણે ગંદકી વધી રહી છે. આવી સમસ્યાના હલ માટે પાલિકાએ કામગીરી કરવી જોઈએ નહીં તો સ્વચ્છ સુરતની દોડમાં સુરતનો નંબર પાછળ જઈ શકે તેવી ભીતિ. વ્યક્ત થઈ રહી છે.