Surat Corporation : સુરત શહેરમાં રહેતા લોકોને મેડિકલ સારવાર બાદ પાલિકા દ્વારા મેયર ફંડ થકી રાહત આપવામાં આવે છે. મેયર ફંડનો લાભ મેળવવા માટે સુરતના રેશન કાર્ડ ફરજિયાત કર્યો હતો. પરંતુ મીની ભારત ગણાતા સુરતમાં અનેક પરિવારો એવા છે તેમના રેશન કાર્ડ ગુજરાતના અન્ય શહેરો નહીં પરંતુ ભારતના અનેક રાજ્યોના હોય છે. તેથી તેઓને મેયર ફંડનો લાભ મળતો નથી. પરંતુ હવે મેયર ફંડના લાભ માટે માનવતા દાખવી ખડી સમિતિએ નિયમો હળવા કર્યા છે. જેના કારણે હવે ભારતના કોઈ પણ રાજ્યના રેશનકાર્ડ ધરાવનારાને સુરતમાં આધાર કાર્ડ-ચૂંટણી કાર્ડ હોય તો મેયર ફંડની અરજી માન્ય રખાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં રહેતા લોકો બીમાર પડે અથવા ઓપરેશન કરાવવું પડે તેવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેઓને પાલિકા સીધી સહાય કરતી નથી. પરંતુ સારવાર લેનારના પરિવારજનો સારવાર માટે થયેલા મેડિકલ ખર્ચની ફાઈલ મેયર ફંડમાં રજુ કરે છે સારવાર માટે થયેલા કુલ ખર્ચમાંથી 10 થી 15 ટકા જેટલી સહાય સુરત પાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. આ માટે પાલિકાએ નિયમ બનાવ્યા હતા પરંતુ ભૂતકાળમાં અનેક બોગસ લોકો કે લેભાગુ તત્વો તેનો ગેરલાભ ઉઠાવતા હતા. આવા લોકો પાલિકામાંથી મેયર પંડની રાહત મેળવતા અને મેડિકલ પોલીસી તથા અન્ય કાર્ડનો પણ ઉપયોગ કરતા હતા. જેના કારણે સાચા લાભાર્થીઓને પૂરો લાભ મળતો ન હતો. જેના કારણે પાલિકાએ ઓરિજનલ ફાઈલનો આગ્રહ રાખતા અરજીમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.
જોકે, આ અરજીમાં ઘટાડો થતા જેન્યુઈન લોકોને મેયર ફંડનો સીધો લાભ મળે તે માટે ખડી સમિતિએ માનવતા દાખવી નિયમો થોડા હળવા કર્યા છે. મેયર દક્ષેશ માવાણીએ કહ્યું હતું કે, આજની ખડી સમિતિની બેઠક થઈ જેમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે સુરતના રેશન કાર્ડનો નિયમ છે તેના કારણે કેટલાક લોકોની અરજી માન્ય થાય તેમ નથી. તેથી પાલિકાએ વધુમાં વધુ જરૂરિયાત મંદોને લાભ મળે તે માટે માનવતાના ધોરણે અરજદારનું રેશનકાર્ડ સુરત બહારના વિસ્તારનું હોય તેવા કિસ્સામાં અરજદાર પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સુરત શહેર વિસ્તારનું હોય તો અરજી ગ્રાહ્ન રાખવાનો નિર્ણય કર્યો છે.


