સુરત: પાલ આરટીઓ કચેરીની બહાર એજન્ટો સોશિયલ ડિસ્ટન્સીગ જાળવતાં નથી
સુરત, તા. 18 જૂન 2020, બુધવાર
સુરતની પાલ આરટીઓ કચેરી બહાર એજન્ટો અને અરજદારોના ટોળામાં સોશિયલ ડિસ્ટન્સીગ જળવાતું નહીં હોવાનો ગણગણાટ છે. સોશ્યલ ડિસ્ટન્સીગનો અમલ થાય તે માટે કચેરીની બહાર જમાવડો કરતાં એજન્ટોને દૂર કરવામાં આવ્યાં હોવા છતાં, તેઓ ફરી પાછાં આવીને સર્વિસ રોડ ઉપર ગોઠવાઈ જતાં હોવાથી ટોળાં થઈ રહ્યા છે.
આરટીઓ કચેરીમાં લાયસન્સ અને બીજા કામે આવતા અરજદારોને દસ્તાવેજ કે અરજીની ઝેરોક્ષ માટે વાનવાળા પાસે જવું પડે છે અને ત્યાં અરજદારોને ટોળેટોળા હોય છે. એજન્ટો અને ખાણીપુરીની લારી તથા ઝેરોક્ષવાળાઓને અહીંથી દૂર કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ બપોર પછી કચેરીની બહાર સર્વિસ રોડ પર ઊભાં રહી જાય છે.
મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકે જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સીગનો અમલ કચેરીની અંદર ખૂબ જ સખ્તાઇપૂર્વક કરવામાં આવે છે. જ્યારથી કચેરી શરૂ કરવામાં આવી છે, ત્યારથી કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે અરજદારો પાસે અમલ કરાવવામાં આવે છે. પણ કચેરીની બહાર સોશિયલ ડિસ્ટન્સીગનો અમલ થતો નથી.