સુરત મહાનગરપાલિકામાં વ્યાજ માફી યોજનાના પહેલા દિવસે 1069 મિલકતદારોએ લાભ લીધો
- રહેણાંક 818 અને બિન રહેણાંક 241 મિલકતદારોએ 1.14 કરોડનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો
સુરત,તા.21 ફેબ્રુઆરી 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકાએ સતત બીજા વર્ષે લાગુ કરેલી વ્યાજ માફી યોજનાનો લાભ 1069 મિલકતદારોએ લીધો હતો. પહેલાં જ દિવસે સુરતની રહેણાંક 818 અને બિન રહેણાંક 241 મિલકતદારોએ 1.14 કરોડનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો છે.
સુરત પાલિકાએ લાંબા સમયથી વ્યાજ અને મુળ રકમ સાથે 577 કરોડનો વેરો બાકી બોલે છે જેમાં સરકારી મિલકતોના વેરો પણ બાકી છે. આ વેરો લાંબા સમયથી આવતી ન હોય પાલિકા તંત્ર દ્વારા આ વર્ષે પણ વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકી છે
આજથી પાલિકાનું સોફ્ટવેર અપડેટ થયા બાદ આજથી વ્યાજ માફી યોજનાનો અમલ થઈ ગયો છે. પહેલા દિવસે જ રહેણાંક 818 અને બિન રહેણાંક 241 મિલકતદારો મળી કુલ 1069 મિલકતદારોએ 1.14 કરોડ વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે. સુરતમાં 241 બિન રહેણાંક મિલકતનો 63.99 લાખ અને 818 રહેણાંક મિલકતનો 50.05 લાખ વેરો જમા કરાવ્યો છે. વ્યાજ માફી યોજના અંતર્ગત 241 બિનરહેણાંક મિલકતને 7.63 લાખ અને 818 રહેણાંક મિલકતને 21.31 લાખ મળી કુલ 28.95 લાખ વેરો માફ થયો છે.
વેરા વ્યાજ માફી યોજના અંતર્ગત રહેણાંક મિલકત માટે તારીખ 31 માર્ચ 2022 સુધીની વ્યાજ પાત્ર રકમ પર વ્યાજ, વોરંટ ફી, નોટિસ ફી અને પેનલ્ટીમાં 100 ટકા રાહત મળશે. જ્યારે બિનરહેણાંકમાં 50 ટકા રાહત મળશે. તમામ જાહેર રજાઓ (ધુળેટી સિવાય) તેમજ બીજા અને ચોથા શનિવારના દિવસે પણ વેરો ભરપાઈ થઈ શકે તે માટે તમામ સિવિક સેન્ટર સવારે 10.30 કલાક થી બપોરે 3.30 કલાક સુધી ચાલુ રહેશે. પાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઇન વેરો ભરી શકાશે.