નગરાળા ગામે બે વ્યક્તિને માર મારી 32 હજારની લૂંટ
દાહોદ તા.1 નવેમ્બર 2019 શુક્રવાર
દાહોદ તાલુકાના નગરાળા ગામે ત્રણ જેટલા શખ્સોએ એક બાઇક પર સવાર બે વ્યક્તિઓની બાઇકને રસ્તામાં રોકી માર મારી સોના તેમજ ચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂ.32 હજાર ની મત્તાની લૂંટ ચલાવી ભાગી ગયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે.
મળતી વિગતો અનુસાર દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે કટારા ફળિયામાં રહેતા સોહનભાઈ કાજુભાઈ મીનામા તથા વિશાલભાઈ ગત તા.૨૮ઓક્ટો. ના રોજ બાઈક લઈ દાહોદ તાલુકાના નગરાળા ગામેથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે દાહોદ તાલુકાના નગરાળા ગામે જ રહેતા શૈલેષભાઈ રાજુભાઈ માવી, અનિલભાઈ ભુરજીભાઈ માવી તથા બીજા એક અજાણ્યો ઈસમ સહિત ત્રણ જણા પોતાની સાથે આવી સોહનભાઈની મોટરસાઈકલને ઓવર ટેક કરી તેમને ઉભા રાખી સોહનભાઈ તથા વિશાલભાઈને લાકડી વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેઓની પાસેથી રોકડા રૂ. 15 હજાર રૃપિયા રોકડા, હાથમાં પહેરેલ ચાંદીના ભોરીયા હાથમાં પહેરેલ ચાંદીના અંગુઠા, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ.32 હજાર ની મત્તાની લુંટ ચલાવી ત્રણેય ઈસમો ભાગી ગયા હતા.
આ સંબંધે લૂંટનો ભોગ બનેલ સોહનભાઈ કાજુભાઈ મીનામાએ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.