ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતાં રાજસ્થાને પુનઃ બોર્ડરો સીલ કરી
-રાજસ્થાન રાજ્યની હદમાં પ્રવેશ કરવા માટે સક્ષમ અધિકારીની મંજુરી અનિવાર્ય કરી દેવામાં આવી
દાહોદ તા.10 જુન 2020 બુધવાર
કોરોનાના કેસોમાં આવેલી વૃદ્ધિ ને પગલે રાજસ્થાન સરકાર દ્વારા પુનઃ કડક વલણ અપનાવવામાં આવ્યું છે જેમાં રાજસ્થાન- ગુજરાતની તમામની આંતર રાજ્ય હદોને સિલ કરી દેવામાં આવી છે. અનલોક-૧માં આ બોર્ડરો પર થોડી છુટછાટ આપવામાં આવી હતી.
ઝાલોદ તાલુકા અને ફતેપુરા તાલુકાથી રાજસ્થાન રાજ્ય સાથે જોડતી મોના ડુંગર તથા કુસલગઢ, ફળવા રામ કા મુન્ના સરહદોને સિલ કરી દેવામાં આવી હતી. તેમજ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આવન જાવન કરતા વાહનોને રોકવામાં આવ્યા હતા.
હવે થી રાજસ્થાન રાજ્યની હદમાં પ્રવેશ કરવા માટે સક્ષમ અધિકારીની મંજુરી અનિવાર્ય કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી ગુજરાત આવતા વાહનોની અવરજવર પર નજર રાખવા રાજસ્થાન સરકારે સખ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે.
આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનને સાવચેતી પગલાં રૃપે ગુજરાતમાં કોરોના કેસની વૃદ્ધિને પગલે સખ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના ઉપરા ઉપરી કેસો આવવા છતાં આપવામાં આવી રહેલી છૂટને પગલે, આવનાર સમયમાં હજી પણ કેસ વધે તો નવાઈ નહીં!!!
દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યની જોડતી બોર્ડર સીલ કરવા માટે કોઈ મંજૂરી આપી નથી. રાજસ્થાન સરકાર દ્વારા બોડર સીલ માટેનો આદેશ થયો છે જેમાં બોર્ડર સીલ એટલે કે સંપૂર્ણ પ્રતિબંધ નહીં પરંતુ નિયંત્રણ હેઠળ કામગીરી કરવાની તેવો અર્થ થાય છે. કોરોના કેસની વૃદ્ધિને લઇ કાર્યવાહી રાજસ્થાન સરકાર દ્વારા કરાઈ રહી છે.રાજસ્થાન તરફથી આવતા જતા લોકોને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સ્ક્રીનિંગ કરી ગુજરાત અવરજવર કરી રહ્યા છે.