દાહોદના નાના ડબગરવાડની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
-હજી 16 કેસ સારવાર હેઠળ
દાહોદ તા.4 જુલાઇ 2020 શનિવાર
દાહોદ જિલ્લામાં આજરોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.વધુ જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા 172 સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલ્યા હતા.
જેમનો રિપોર્ટ આજરોજ આવતા 172 સેમ્પલો પૈકી 171 ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા અને દાહોદ શહેરના નાના ડબગરવાડના રહેવાસી ૨૨ વર્ષ જાગૃતિબેન વિનોદભાઈ દેવડાનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો. જ્યારે આજરોજ કોરોના સંક્રમિત આવેલી યુવતી સહીત કુલ 16 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોરોના મહામારી હવે ધીમાં પગે લોકલ ટ્રાન્સમિશનમાં પગપેસારો કરી રહી છે. જેના લીધે આ મહામારીનું વધુ વકરવાની શક્યતાઓ વધવા પામી છે. જેને લીધે આરોગ્ય તંત્ર સહીત વહીવટીતંત્ર ચિંતાતુર જોવા મળી રહ્યો છે.કોરોના મહામારીએ ગત તા.28.6.20 થી તા.4.7.20 એટલે કે ગત અઠવાડિયામાં દાહોદમાં કોરોના પોઝિટિવના 12 કેસો નોંધાવા પામ્યા છે.એમાં મોટાભાગના દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના લીધે સંક્રમિત થયાં હોવાની માહિતી સપાટી પર આવી છે.
દાહોદમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 172લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅર્થે મોકલ્યા હતા.જે પૈકી 171 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે નાના ડબગર વાડ ખાતેના રહેવાસી તેમજ લુણાવાડાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અને ગત તા.૧ મી જુલાઈ ના રોજ કોરોના સંક્રમિત આવેલા વિનોદભાઈ દેવડાના સંપર્કમાં આવેલી ૨૨ વર્ષીય પુત્રી જાગૃતિબેનને ગળામાં દુખાવો થતાં તેઓને અત્રેના હોસ્પિટલ ખાતે લાવી સેમ્પલ ચકાસણી અર્થે મોકલતા તેઓ પણ આજરોજ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં અત્યારસુધીમાં 6959 લોકોને હોમ ક્વોરેન્ટાઇન મળી સેમ્પલ કલેક્ટ કરી ચકાસણીઅર્થે મોકલ્યાં હતા .જે પૈકી કુલ 6733 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે . તા.3.7.20 ના રોજ લીધેલા 163 ફ્રેશ સેમ્પલ મળી કુલ 165 ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 62 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 45 લોકો કોરોના મુક્ત થઇ જતા હાલ 16 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે એક દર્દીનું વડોદરા ખાતે મૃત્યુ થવા પામ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના રહેઠાણ સહીત આસપાસના વિસ્તારોમાં સનેટાઇઝ સહીત દવાના છટકાવની કામગીરી કરી રહી છે. તેમજ જિલ્લા સમાહર્તા દ્વારા વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો અને લોકલ ટ્રાન્સમિશનની પરિસ્થિતિને કાબુમાં લેવા લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહીત પૂરતા સાવચેતીના પગલાં લેવા અપીલ કરી છે.