દાહોદ: ચૈડીયા ગામે ડાકણ હોવાનો વહેમ રાખી પુત્ર દ્વારા કુહાડીની ઘા છીંકી માતાની હત્યા
- પોલીસે ગુનો દાખલ કરી પુત્રની અટકાયત કરી
દાહોદ તા.16 ફેબ્રુઆરી 2020 રવીવાર
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે પુત્રએ પોતાની 65 વર્ષીય માતા ઉપર ડાકણ હોવાની વ્હેમ રાખી માતા સાથે ઝઘડો કરી કુહાડીના ઘા ઝીંકી માતાને મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી .પુત્રની અટક કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે ભુરીયા ફળિયામાં રહેતા 70 વર્ષીય તેજાભાઈ મોતીયાભાઈ ભુરીયા અને તેમની ૬૫ વર્ષીય પત્ની સેનાબેન તેજાભાઈ ભુરીયા બંન્ને વૃધ્ધ દંપતિ ગત તા.૧૫ ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરે હાજર હતા. આ દિવસે બપોરે દંપતિનો પુત્ર શંકરભાઈ તેજાભાઈ ભુરીયા ઘરે આવ્યો હતો અને દંપતિ સાથે ઝઘડો કરી સેનાબેનને કહેવા લાગેલ કે, તું મેલી વિદ્યા કરે છે ,જેના કારણે મારી પત્ની તથા બાળકો બીમાર રહે છે, તેમ કહી પોતાની સાથે લાવેલી કુહાડીના ઘા સેના બેનને શરીરે મારતા સેનાબેનને લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતા.
બનેલી ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને પુત્ર શંકરભાઈની અટક કરી હતી. વૃધ્ધ ૬૫ વર્ષીય માતાના મોતને પગલે દોડી આવેલા પરિવારજનો તેમજ સગાસંબંધીઓમાં આક્રંદ સહિત ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો. આ સંદર્ભે મૃતક 65 વર્ષીય સેનાબેનના પતિ 70 વર્ષીય તેજાભાઈ મોતીયાભાઈ ભુરીયાએ પોતાના પુત્ર વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.