Get The App

સિનેમેજિક - અજિત પોપટ

અન્ય ગીતોમાં પણ આગવી અદાયગી, કાને પડતાં વેંત સર્જક પરખાઇ જાય

અય દિલ મુઝે બતા દેની તર્જ ગીતા દત્તના કંઠને એકસો ટકા ફિટ બેસે એેવી છે

Updated: Jun 1st, 2018

GS TEAM

Google News
Google News

અંગત ગમા-અણગમા અને પોતાની પ્રતિભાની થઇ રહેલી ઉપેક્ષાથી સારી પેઠે વાકેફ હોવા છતાં મદન મોહને કદી ઉત્તમોત્તમ તર્જો આપવામાં દિલચોરી ન કરી એ બહુ મોટી વાત ગણાય. શાસ્ત્રીય રાગ રાગિણી આધારિત ગીતો અને ગઝલો ઉપરાંતનાં જે ગીતો મદન મોહને આપ્યાં એ પણ બિરદાવવા જેવાં આપ્યાં.
એવાં થોડાંક ગીતોની વાત પણ અહીં કરવી અસ્થાને નહીં ગણાય. આવાં મધમીઠ્ઠાં ગીતોનો આરંભ પણ ઘણો વહેલો થઇ ગયો હતો. એવાં કેટલાંક ગીતોની વાત હવે આપણે કરીશું.

૧૯૫૦-૫૧માં રજૂ થયેલી ફિલ્મ અદાનંુ આ ગીત જુઓ- લતાજીના કંઠમાં ગવાયેલું 'સાંવરી સૂરત મન ભાયી રે પિયા તોરી સાંવરી સૂરત મન ભાઇ, અરમાનોં ને લી અંગડાઇ રે પિયા...' આ તબક્કે હું અંગત રીતે મદન મોહનને નસીબદાર માનું છું કારણ કે આ ગીત પ્રેમ ધવને લખ્યું હતું અને પ્રેમ ધવન પોતે પણ અચ્છા ગાયક-સંગીતકાર હતા. બાકી નૌશાદના સંગીત માટે શરૃ શરૃમાં એવો આક્ષેપ થયેલો કે એમનાં ગીતોને ગીતકાર દીના નાથ (ડીએન )મધોકે સ્વરબદ્ધ કર્યા હતા. ખુદ પ્રેમ ધવને એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મદન મોહનની પ્રતિભાનો ચમકારો મને શરૃઆતમાંજ સ્પર્શી ગયો હતો....

ઔર એકાદ બે દાખલા જોઇએ.  ચૈન નહીં આયે, કહાં દિલ જાએ સજનવા હો... રાજેન્દ્ર કૃષ્ણની આ રચના એક વિરહગીત હતું. બિના રાય પર ફિલ્માવાયેલું આ ગીત ફિલ્મ સમુંદર માટે સ્વરબદ્ધ થયું હતું. પ્રેમ નાથ, બિના રાય, રામ અવતાર, રાજેન્દ્ર નાથ અને નીશી આ ફિલ્મના મુખ્ય કલાકારો હતાં. આ ફિલ્મ એવા જેનરની હતી કે ન એેને સામાજિક કહી શકાય, ન ઐેતિહાસિક ગણાવી શકાય કે ન તો એક્શન ફિલ્મ કહી શકાય.

ફિલ્મને કયા ગ્રેડમાં મૂકવી એ પણ એક સવાલ થઇ પડે એવું હતું. ફિલ્મ ન ચાલે તો સંગીત શી રીતે ચાલે ? પરંતુ મદન મોહને પોતાનું કામ કરતી વેળા એવો વિચાર કર્યો નથી. આ ગીત લતાજીના કંઠે હતું અને એમાં રહેલી ગમગીની આજે પણ યુ ટયુબ પર સાંભળતી વખતે અનુભવી શકાય છે.

પહેલું ગીત સાંવરી સૂરત ૧૯૫૧નું હતું તો સમુન્દરનું આ ગીત આ દાયકાના ઉત્તરાર્ધમાં ૧૯૫૭ની આસપાસ આવ્યું. તર્જમાં રહેલું માધુર્ય તાજગીપૂર્ણ લાગ્યા વિના રહેતું નથી. આ વિરહગીતને દેખ કબીરા રોયાના લતાજીએ જ ગાયેલા મેરી બિના તુમ બિન રોયે... સાથે મૂકી જુઓ. મેરી બિના ભલે રાગ આધારિત ગીત હોય. બંને ગીતોમાં રહેલો વિરહનો સ્થાયીભાવ અકબંધ રહે છે અને સાંભળનારને પણ વિરહનો અહેસાસ કરાવે છે.
આ જ મદન મોહન ટ્રેક બદલે ત્યારે પણ એનામાં રહેલો સંગીતકાર કંઇક નવું કર્યા વિના રહેતો નથી. એવીએમ (મદ્રાસ)ની  સામાજિક ફિલ્મ ભાઇ ભાઇનું ગીતા દત્તે ગાયેલું અય દિલ મુઝે બતા દે તૂ કિસ પે આ ગયા હૈ.. કે લતાજીએ ગાયેલું કદર જાને ના હો મોરા બાલમા બેદર્દી ... સાંભળો. કોઇ અલગ મદન મોહન સાંભળનાર સમક્ષ ઉપસ્થિત થઇ જાય છે.

ભાઇ ભાઇનાં બધાં ગીતો સરસ હતાં. નીમ્મી પર ફિલ્માવાયેલું કદર જાને ના... વિશેષ ઉલ્લેખનીય એટલા માટે ગણ્યું કે મદનના વ્યક્તિત્વનો એક અલગ હિસ્સો આ ગીતના સંગીતમાં અનુભવી શકાય છે. અય દિલ મુઝે બતા દેની તર્જ ગીતા દત્તના કંઠને એકસો ટકા ફિટ બેસે એેવી છે. એમાંય વો કૌન હે જો આક....ર...નો આકર શબ્દ ધ્યાનથી સાંભળો તો છક થઇ જાઓ.

કદર જાને ના... જાણે લતાજી માટેજ બન્યું છે. એક જ વ્યક્તિ અલગ અલગ પ્રસંગે, અલગ અલગ કથાને અનુરૃપ કામ કરવાની તક મળે ત્યારે કેવું કામ કરી બતાવે છે એનો આ એક વિરલ નમૂનો છે. અય દિલનો લય પણ વિશેષ બની રહ્યો. આ એક એવો મદન મોહન હતો જે હજુ હતાશાનો શિકાર બન્યો નહોતો. ભાઇ ભાઇમાંજ કિશોર કુમાર અને લતાજીએે ગાયેલું મેરા નામ અબ્દુલ રહેમાન પિસ્તેવાલા મૈં હું પઠાન...ગીત કે લતાજીએ ગાયેલું શરાબી જા જા જા...માં છેલ્લા શબ્દો જા જા જા...માં જે મીઠ્ઠો જાકારો છે એ ગાનાર અને અભિનય કરનાર જેટલોજ આપણે પણ અનુભવીએ છીએ. કાશ, આ મદન આપણી સાથે કાયમ રહ્યો હોત !   

લગભગ એવોજ મદન આપણી સમક્ષ ફિલ્મ અનપઢમાં રજૂ થાય છે. એની વિગતે વાત આવતા શુક્રવારે કરીશું. અહીં ભાઇ ભાઇના ઔર એક ગીતની વાત કરી લઇએ. આ ગીત આશા ભોંસલેના કંઠમાં છે. દિલ તેરી નજર મેં અટકા રે... આ ગીત પણ ફિલ્મમાં નીમ્મી પર ફિલ્માવાયું છે. કદર જાને ના અને દિલ તેરી નજર મેં... બંને ગીતમાં રજૂ થયેલા ભાવને ધ્યાનમાં લઇને પછી ગીત સાંભળો. તમને નવાઇ લાગે કે આ મદન મોહન પછીના દાયકામાં ક્યાં ખોવાઇ ગયો
 

Tags :