UPIના વ્યાપક વપરાશથી રોકડ માટેની માંગમાં જોવાતો ઘટાડો

મુંબઈ : તાત્કાલિક પેમેન્ટસ વ્યવસ્થા પૂરી પાડતા પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ)ના વ્યાપક સ્વીકારને કારણે દેશમાં ઉપભોગતા દ્વારા પોતાની પાસે રોકડ જાળવી રાખવાની માગમાં ઘટાડો થયો છે.
યુપીઆઈ વોલ્યુમ્સ કેશની માગમાં ઘટાડો કરાવે છે અને હાજર રોકડના વિકલ્પની ભૂમિકા ભજવે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના સપ્ટેમ્બર માટેના બુલેટિનમાં જણાવાયું છે.
યુપીઆઈના વપરાશમાં વધારો થવા સાથે દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં વ્યાપક બદલાવ આવ્યો હોવાનું જોવા મળે છે.
૨૦૧૬માં લોન્ચ થયેલા યુપીઆઈ પ્લેટફોર્મના વપરાશકારોની સંખ્યા ૨૦૧૭માં જે ૩ કરોડ હતી તે ૨૦૨૪ના અંતે ૪૨ કરોડ પર પહોંચી ગઈ હતી. પ્લેટફોર્મ મારફત વ્યવહારની સંખ્યા પણ વર્ષે ૨૦૦ અબજની નજીક જોવા મળી રહી છે જે દરેક ડિજિટલ પેમેન્ટસના ૮૦ ટકા જેટલી છે. યુપીઆઈ મારફત થતા વ્યવહારનું એકંદર મૂલ્ય પણ મહિને રૂપિયા ૨૫ ટ્રિલિયન આસપાસ પહોંચી ગયું છે.
કરન્સી ઈન સર્ક્યુલેશનની માત્રા ગયા નાણાં વર્ષના અંતે જીડીપીના ૧૧.૨૦ ટકા રહી હતી.









