Business

આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે 'સ્ટીલ કિંગ'

By GS TEAM
24 Nov 20253 mins read
TukuTouch Logo
Lakshmi Mittal Plans to Quit the UK as New Tax Policies Target the Super-Rich : વિશ્વવિખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ લગભગ ત્રણ દાયકા પછી યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતીય મૂળના આ ઉદ્યમશીલ શખ્સ લાંબા સમયથી યુકેના ધનિકોની યાદીમાં સ્થાન ધરાવતા આવ્યા છે. જોકે, હવે તેઓ નવી લેબર સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલી કર નીતિઓ—જે ખાસ કરીને ઉચ્ચ સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓને અસર કરે એમ છે—ને કારણે ત્યાંથી સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે 'સ્ટીલ કિંગ'

Lakshmi Mittal Plans to Quit the UK as New Tax Policies Target the Super-Rich : વિશ્વવિખ્યાત સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ લગભગ ત્રણ દાયકા પછી યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતીય મૂળના આ ઉદ્યમશીલ શખ્સ લાંબા સમયથી યુકેના ધનિકોની યાદીમાં સ્થાન ધરાવતા આવ્યા છે. જોકે, હવે તેઓ નવી લેબર સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલી કર નીતિઓ—જે ખાસ કરીને ઉચ્ચ સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓને અસર કરે એમ છે—ને કારણે ત્યાંથી સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે.

શા માટે છોડી રહ્યા છે યુકે?

ધ સન્ડે ટાઇમ્સના અહેવાલ મુજબ યુકેના ટોચના ધનિકોમાં સ્થાન ધરાવતા લક્ષ્મી મિત્તલ કરવેરા સંબંધિત સખ્ત નિયમોને કારણે યુકે છોડવાની યોજના બનાવી રહ્યા છે. 

- સરકારે મૂડી લાભ કરમાં વધારો કર્યો છે, ઉદ્યોગસાહસિકો માટેની સગવડો ઘટાડી છે અને પારિવારિક વ્યવસાયના હસ્તાંતરણ પર નવા નિયમો લાદ્યા છે. 

- વારસા કર (Inheritance Tax) લક્ષ્મી મિત્તલ માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે. કોઈ વ્યક્તિ યુકેમાં રહેતી હોય તો એણે પોતાની યુકેમાં રહેલી સંપત્તિઓ પર જ નહીં, બલ્કે દુનિયાભરમાં ફેલાયેલી સંપત્તિઓ પર વારસા કર ચૂકવવો પડે છે. આ વાત ઘણા શ્રીમંતોને નથી ગમતી. લક્ષ્મી મિત્તલના યુકે છોડવા પાછળ આ પણ એક કારણ છે.

- અહેવાલોમાં 'એક્ઝિટ ટેક્સ' જેવા વધારાના પગલાઓની પણ ચર્ચા થઈ રહી છે, જેથી વૈશ્વિક સ્તરે કરોડપતિઓ અને અબજોપતિઓમાં અસ્વસ્થતા ફેલાઈ છે.

સ્ટીલ સામ્રાજ્યનું નિર્માણ

લક્ષ્મી મિત્તલ 1995માં લંડન જઈને વસ્યા હતા અને ત્યાંના અગ્રણી ઉદ્યોગપતિ બની ગયા હતા. ફોર્બ્સ મેગેઝિનની વાર્ષિક યાદી અનુસાર લક્ષ્મી મિત્તલની કુલ સંપત્તિ 21.4 અબજ અમેરિકન ડૉલર જેટલી છે. આ સાથે જ તેઓ વિશ્વના 104મા અને ભારતના 12મા ધનિક વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેઓ આર્સેલર મિત્તલના ચેરમેન તરીકે કાર્યરત છે, જે વિશ્વની બીજી સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે. આ જૂથે 2024માં 1.3 અબજ ડૉલરની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે 2023 કરતાં 40% વધારો દર્શાવે છે.

કંપનીની કમાન પુત્રના હાથમાં સોંપી

રાજસ્થાનમાં જન્મેલા અને સ્ટીલના પરિવારમાં વધેલા મિત્તલે વિશ્વભરમાં આક્રમક રીતે પોતાના વ્યવસાયનો વિસ્તાર કર્યો અને તેમની પેઢીના સૌથી સફળ ઉદ્યોગપતિઓમાં સ્થાન મેળવ્યું. ભલે દાયકાઓથી યુકેમાં રહ્યા હોય, પણ તેમણે ભારતીય નાગરિકત્વ જાળવી રાખ્યું છે. 2021માં તેમણે કંપનીની કમાન તેમના પુત્ર આદિત્ય મિત્તલને સોંપી દીધી હતી, પરંતુ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેમણે કંપનીની વ્યૂહરચના અને વિસ્તરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખ્યું છે.

યુકેમાં અનોખી ઓળખ મેળવી

લંડનના કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સ પર સ્થિત મૂલ્યવાન રહેણાંક મિલકતો 'બિલિયોનેર્સ રો' તરીકે ઓળખવામાં આવે છે. અહીં મિત્તલની હવેલી આવેલી છે, જે 'તાજ મિત્તલ' નામથી ઓળખાય છે. આ મિલકત 2004માં 57 મિલિયન પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી. 55,000 ચોરસ ફૂટમાં પસરાયેલી આ હવેલીમાં બોલરૂમ, વિશિષ્ટ સ્વિમિંગ પૂલ અને 20 કાર માટે પાર્કિંગની સગવડ છે. અહેવાલો મુજબ, મિત્તલ પરિવાર આ મિલકત વેચવા નથી ઇચ્છતો.

દુબઈ તરફ સફર?

મિત્તલ પહેલાથી જ દુબઈમાં એક હવેલી ધરાવે છે. તેમણે યુએઈના એક ટાપુ પર જમીન ખરીદી હોવાના અહેવાલો પણ છે. દુબઈ અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવાં સ્થળોએ વારસા કર લાગુ ન હોવાથી તે શ્રીમંત પરિવારોમાં પસંદગીના સ્થળો બની રહ્યા છે. શું લક્ષ્મી મિત્તલ પણ આ કારણસર દુબઈ સ્થળાંતર કરી જશે કે પછી વતન ભારત આવી જશે, એ જાણવું રસપ્રદ રહેશે.