મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે
- મેમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો
- વૈશ્વિક તંગદિલીને પગલે કીંંમતો વધી શકે : નિષ્ણાતો : જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 0.85 ટકા અને મે, 2024માં 2.74 ટકા રહ્યો હતો
નવી દિલ્હી : ખાદ્ય વસ્તુઓ, મેન્યુફેકચરિંગ વસ્તુઓ અને ઇંધણની ભાવ ઘટવાના કારણે મે મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (ડબ્લ્યુપીઆઇ) ઘટીને ૧૪ મહિનાના નિમ્ન સ્તર ૦.૩૯ ટકાએ આવી ગયો છે. જો કે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભૂ રાજકીય તંગદિલીને કારણે કીંમતો વધી શકે છે. ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો એપ્રિલમાં ૦.૮૫ ટકા અને મે, ૨૦૨૪માં ૨.૭૪ ટકા રહ્યો હતો.
ડબ્લ્યુપીઆઇ ડેટા અનુસાર ખાદ્ય વસ્તુઓની કીંમતોમાં મે મહિનામાં ૧.૫૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલમાં તેમાં ૦.૮૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મેમાં શાકભાજીના ભાવમાં ૨૧.૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે એપ્રિલમાં તેમાં ૧૮.૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
મેન્યુફેકચરિંગ ઉત્પાદનોનો ફુગાવો ૨.૦૪ ટકા રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૬૨ ટકા રહ્યો હતો. મેમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો ૨.૨૭ ટકા રહ્યો છે જ્યારે એપ્રિલમાં તે ૨.૧૮ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યતવે રીટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મે મહિનામાં રીટેલ ફુગાવેો ૨.૮૨ ટકા રહ્યો છે. જે છ વર્ષની નીચલી સપાટી દર્શાવે છે.
આરબીઆઇએ ફુગાવામાં ઘટાડાની વચ્ચે આ મહિને નીતિગત વ્યાજ દરોમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે જ રેપો રેટ ઘટીને ૫.૫ ટકા થઇ ગયો છે.
આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૩.૭ ટકા રાખ્યો છે. આ અગાઉ આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનો અંદાજ ૪ ટકા રાખ્યો હતો.