અમદાવાદ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે પ્રસ્તાવિત ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઇન્સિલ (જીસીસી) વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર પ્રગતિ ધીમી કરી દીધી છે તેમ નીતિ આયોગે જણાવ્યું હતું.
નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર) માટેના ત્રિમાસિક વેપાર અહેવાલમાં જણાવાયું છે કે, ઊર્જા આયાત, નિકાસ અને રેમિટન્સના સંદર્ભમાં ગલ્ફ ક્ષેત્ર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. વેપારનો નોંધપાત્ર હિસ્સો આ પ્રદેશમાંથી પસાર થાય છે.
પશ્ચિમ એશિયા ભારતની ઊર્જા આયાત અને વિદેશી કાર્યબળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એફટીએ પર ચાલી રહેલી વાટાઘાટો બજાર એક્સેસને વિસ્તૃત કરવા, વેપારને વૈવિધ્યીકરણ કરવા અને નિકાસ વૃદ્ધિને મજબૂત કરવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
અહેવાલમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા માટે મૂલ્યવર્ધન વધારવા અને બજાર વૈવિધ્યકરણને વિસ્તૃત કરવા માટે રત્નો અને ઝવેરાત ક્ષેત્રને પરિવર્તનની જરૂર છે. આ ક્ષેત્ર નોંધપાત્ર નિકાસ આવક ઉત્પન્ન કરે છે અને ૫ મિલિયનથી વધુ કામદારોને રોજગારી આપે છે.
ભારત ૩૭૮ બિલિયન ડોલરના વૈશ્વિક રત્નો અને ઝવેરાત બજારમાં ૭.૮ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે કાચા સોના સહિત તેનો એકંદર વૈશ્વિક હિસ્સો ૨૦૧૫ માં ૬.૧ ટકાથી ઘટીને ૨.૯ ટકા થવાનો અંદાજ છે.
ભારતનું રત્ન અને ઝવેરાત ક્ષેત્ર પ્રક્રિયા, સ્કેલ અને રોજગારની દ્રષ્ટિએ મજબૂત છે, ત્યારે મર્યાદિત મૂલ્યવર્ધન, વૈશ્વિક વેપાર ઇકોસિસ્ટમ સાથે નબળા જોડાણો અને નાણાકીય, માળખાકીય સુવિધાઓ અને નીતિ માળખામાં માળખાકીય બિનકાર્યક્ષમતાઓને કારણે તે અવરોધાય છે. આ ઘટાડા માટે અનેક માળખાકીય નબળાઈઓને જવાબદાર ગણાવવામાં આવી છે.


