Get The App

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં

- મૂડી બજાર નિયામક તંત્ર સેબીનો યુ-ટર્ન

- અનેક માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ટ્રેડિંગમાં સક્રિય છે : સેબી ડેટા મેળવી રહ્યું છે : ૧૦, નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરાશે

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં 1 - image

મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં નાના ટ્રેડરો, ખુવાર થઈ રહ્યા હોવાના મામલે તાજેતરના ભૂતકાળમાં અનેક પગલાં લઈને નાના ટ્રેડરોને દૂર કરવાનો સરાહનીય સંકેત આપ્યા બાદ હવે સેબીએ જાણે યુ-ટર્ન લીધો છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ કહ્યું છે કે, આપણે ફક્ત વિક્લી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) એક્પાયરીને બંધ કરી શકાય નહીં. ઘણા બજાર સહભાગીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

મુંબઈમાં એક પ્રસંગે સેબી ચેરમેને કહ્યું હતું કે, સેબી એફ એન્ડ ઓ ટ્રેડિંગ સંબંધિત આંકડા-વિગતો એકત્ર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, બજાર નિયમનકાર બજારમાં સટ્ટાખોરીને ઘટાડવા અને કેશ માર્કેટમાં ટ્રેડિંગમાં સુધારો કરવા માટે વિક્લી એફ એન્ડ ઓ એક્સપાયરીઓને બંધ કરવા માગે છે. આજે ચેરમેને જણાવ્યું હતું કે, રોકાણકારોના સહભાગી બનવાનું મહાનગરોથી આગળ શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. સેબીએ ડેરિવેટીવ્ઝ માર્કેટને સુધારવા માટે શ્રેણીબદ્વ પગલાં લીધા છે.

આ વિક્લી એફ એન્ડ ઓ એક્સપાયરી ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને આ મામલે મોટો ઉહાપોહ થયો છે. ડેરિવેટીવ્ઝ માર્કેટમાં એક સમસ્યા છે, જેના પર સેબીએ પ્રકાશ પાડયો હતો. નાના કે ઓછા સમજદાર માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે અતાર્કિક ઉત્સાહ નિયંત્રણમાં રહે તે જોવાની જરૂર છે. આપણે વિક્લી ઓપ્શન્સ માર્કેટને આ રીતે કેવી રીતે બંધ કરી શકીએ? સેબી વિક્લી ઓપ્શન્સ મુદ્દા પર વધુ ડેટા મેળવી અભ્યાસ કરી રહ્યું છે.

સેબી દ્વારા તેના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા હિતોના સંઘર્ષ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે રચાયેલી એક પેનલ ૧૦, નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરશે એમ પાંડેએ જણાવ્યું હતું. જો આ ભલામણો સ્વિકારવામાં આવે તો, સેબી વૈશ્વિક પ્રથાઓ સાથે સુસંગત બનશે.

બેંક નિફટી, બેંકેક્સ, ફિનનિફટી પર નવા ડેરિવેટિવ્ઝ ધોરણોની સમય મર્યાદા લંબાવાઈ

મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ બેંક નિફટી જેવા નોન-બેન્ચમાર્ક સૂચકાંકો પર ડેરિવેટિવ્ઝ માટે નવા પાત્રતા ધોરણો લાગુ કરવાની અંતિમ તારીખ ૩૦, ઓકટોબર, ૨૦૨૫ સુધી લંબાવી છે. જેનાથી બેંક નિફટીમાં રિબેલેન્સિંગ સાથે કોન્સ્ટીટયુન્ટ વેઈટેજની તબક્કાવાર ગોઠવણ ૩૧, માર્ચ ૨૦૨૬ સુધી કરવાની પરવાનગી રહેશે.

સેબીએ સિસ્ટમ તૈયારીના પડકારોને સ્વિકારીને, લાયક સ્ટોક બ્રોકર્સ માટે વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સિસ્ટમ્સ લાગુ કરવાની સમયમર્યાદા મુલત્તવી રાખી છે. સેબીએ બેંક નિફટી, બેંકેક્સ અને ફિનનિફટી જેવા હાલના નોન-બેન્ચમાર્ક સૂચકાંકો (એનબીઆઈ) પર ડેરિવેટીવ્ઝ માટે નવા પાત્રતા ધોરણો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવી છે.

સેબીએ ૩૦, ઓકટોબર ૨૦૨૫ના જારી કરેલા એક સર્કયુલર મુજબ, સેબીએ તમામ સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશનોને તેના ૨૯, મેના સર્કયુલર હેઠળ રજૂ કરાયેલા ધોરણોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ ધોરણોમાં ઓછામાં ઓછા ૧૪ ઈન્ડેક્સ કોન્સ્ટીટયુઅન્ટ, ટોચના કોન્સ્ટીટયુન્ટના વેઈટેજ પર ૨૦ ટકાની મર્યાદા અને ટોચના ત્રણ કોન્સ્ટીટયુન્ટ પર૪૫ ટકાની એક્ત્રિત-સંયુક્ત મર્યાદાનો સમાવેશ થાય છે.

નિયામક તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, આ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા, આ ઈન્ડેક્સો-સૂચકાંકોને ટ્રેક કરતાં પેસીવ ફંડો અને હાલના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને અસર કરી શકે છે.  વ્યવસ્થિત ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવા માટે અમલીકરણ યોજનાને અંતિમ ઓપ આપતા પહેલા સેબીએ ૧૮, ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પબ્લિક સાથે ચર્ચા વિચારણા કરી હતી.