ભારતમાં પ્લાન્ટ લગાવતા ગભરાય છે ચાઈનીઝ કંપનીઓ, આ છે કારણ!
Updated: Feb 12th, 2024
Scrutiny of Chinese Firms: ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પાસેથી મળતી જાણકારી મુજબ તેના સપ્લાયર્સને ભારતમાં કામગીરી શરુ કરવામાં મુશ્કેલીઓ પડે છે. તેમજ ભારતમાં ચીની કંપનીઓની તપાસ કરવામાં આવતી હોવાથી આ ચાઈનીઝ કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવાથી ડરે છે.
ડર પાછળનું કારણ શું છે?
એક અખબારના રિપોર્ટ અનુસાર ચીની કંપની દ્વારા ભારતને એક પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં સરકાર દ્વારા ચાઈનીઝ કંપનીઓની તપાસ થતી હોવાના કારણે સ્માર્ટફોન કમ્પોનન્ટ સપ્લાયર્સ ભારતમાં કામગીરી શરુ કરતા અચકાય છે.
મેન્યુફેક્ચરિંગ કંપની પાસે સરકારે માગ્યા સુચન
માર્કેટ શેરની દ્રષ્ટિએ Xiaomi ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપની છે. જે ભારતની માર્કેટમાં 18 ટકા હિસ્સો ધરાવે છે. કંપની ભારતમાં જ તેના સ્માર્ટફોન એસેમ્બલ કરે છે, જેમાં અમુક સ્પેરપાર્ટ્સ ચીનથી આયાત કરે છે તો અમુક ભારતમાં બનેલા કમ્પોનન્ટનો ઉપયોગ કરે છે. આથી ભારત સરકારે આ ચાઈનીઝ કંપનીને દેશમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શું પગલાં લેવા જોઈએ એ બાબતે 6 ફેબ્રુઆરીના રોજપત્ર લખ્યો હતો. જેના જવાબમાં કંપનીએ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમજ અમુક પસંદ કરેલ સ્માર્ટફોનના કમ્પોનન્ટની આયાત પર ટેરિફ ઘટાડવા કહ્યું હતું.
ચાઈનીઝ કંપનીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી
વર્ષ 2020ના ભારત અને ચીન વચ્ચે હિંસક સીમા વિવાદ બાદ ભારત સરકાર દ્વારા ચીની કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સેંકડો ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. તેમજ આ કંપનીઓ પર પૈસાની ગેરરીતિનો આરોપ પણ છે.