Get The App

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ દરમિયાન થયા હતા ઈજાગ્રસ્ત 1 - image


Agnivesh Agarwal Death: વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું છે. અમેરિકામાં સ્કીઇંગ અકસ્માતમાં અગ્નિવેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા અને બધું બરાબર લાગતું હતું. જોકે, તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આ તેમના જીવનનો સૌથી કાળો દિવસ છે.'

પટનામાં થયો હતો જન્મ

અનિલ અગ્રવાલે જણાવ્યું કે, તેમના પુત્ર અગ્નિવેશનો જન્મ 3 જૂન 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે અજમેરના મેયો કોલેજથી અભ્યાસ કર્યો અને એક સફળ કરિયર બનાવ્યું. અગ્નિવેશે ફુજૈરાહ ગોલ્ડની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેન પણ રહ્યા. તેમણે પોતાના પુત્રને એક ખેલાડી, સંગીતકાર અને લીડર ગણાવ્યો, જે પોતાના ઉત્સાહ, વિનમ્રતા અને દયાળુ સ્વભાવથી જાણીતા હતા.

ભાવુક પોસ્ટ કરીને પુત્રને કર્યો યાદ

અનિલ અગ્રવાલે પોતાના પુત્રને યાદ કરતા કહ્યું કે, 'મારો પ્રિય પુત્ર અગ્નિવેશ અમને ખૂબ જલ્દી છોડીને ચાલ્યો ગયો. તેઓ માત્ર 49 વર્ષના હતા. સ્વસ્થ જીવન અને સપનાઓથી ભરપૂર. અમેરિકામાં એક સ્કીઈંગ દુર્ઘટના બાદ તેઓ ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યો હતો. અમને લાગ્યું કે, સૌથી ખરાબ સમય વીતી ચૂક્યો છે. પરંતુ ભાગ્યનો પ્લાન કંઈક બીજો હતો અને અચાનક કાર્ડિયાક એરેસ્ટે અમારા દીકરાને અમારાથી છીનવી લીધો.'

તેમણે વધુમાં કહ્યું કે, 'તે તમામ સિદ્ધિઓ છતાં તે સરળ, ખુબ માનવીય અને દયાળુ હતો. મારા માટે તે મારા પુત્ર નહીં પરંતુ મારો મિત્ર હતો. મારું ગૌરવ. મારી દુનિયા.'