કોલસાની ખાણોની હરાજીમાં હિસ્સો લેવા માટે કોલસાના વપરાશકાર હોવાનો નિયમ ફગાવાયો
- આયર્ન ઓરની લીલામી પ્રક્રિયા સંપન્ન થતા વન-પર્યાવરણને લગતી મંજૂરીઓ આપોઆપ ટ્રાન્સફર થશે:વરસો સુધી રાહ નહીં જોવી પડે
- હવે એન્ડ યુઝર હોવું અનિવાર્ય નહીં રહે
નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી 2020, ગુરૂવાર
કોલસાની ખાણની લીલામીમાં હિસ્સેદાર બનવા માટે એન્ડ યુઝર હોવું અત્યાર સુધી ફરજિયાત હતું. પરંતુ ગુરુવારે કેન્દ્રિય કેબિનેટે આ નિયમની ઘૂંસરી ફગાવી દીધી છે. હવે કંપનીઓએ લીલામમાં લીધેલી ખાણના કોલસાનો વપરાશ ફરજિયાત નથી. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર કમર્શિયલ કોલસાની ખાણોની લીલામી કરવા જઈ રહ્યું છે.
આ નિર્ણયને લીલામી પ્રક્રિયાના પ્રારંભ તરીકે જોવાઈ રહ્યો છે. હવે લોખંડ એટલે કે આર્યનની જે ખાણોની લીલામી થશે એની સાથે સાથે જ વન અન પર્યાવરણને લગતી મંજૂરીઓ ઓટોમેટિક ટ્રાન્સફર કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો છે.
માઇન મિનરલ અને કોલસાની ખાણોને લગતા કાયદામાં સુધારો થયો છે. એમએમઆરડીઆરના કાયદામાં સુધારા પછી ખાણની બીડમાં ભાગ લેવા ઇચ્છુકો માટે કોલસાનો વપરાશ કરવા પ્લાન્ટનું હોવું અનિવાર્ય નથી તથા આર્યન-ઓરની લીલામી પ્રક્રિયા સંપન્ન થાય પછી વિજેતા બીડરને વન અને પર્યાવરણને લગતી મંજૂરીઓનું હસ્તાંતરણ આપોઆપ થઈ જશે. ઔદ્યોગિક સંગઠને આ નિર્ણયને આવકાર્યો છે.
સંગઠનના પ્રમુખે કહ્યું કે એન્ડ યુઝરના નિયમના અંતથી દેશમાં સરેરાશ ઉત્પાદન વધશે અને ખાણમાંથી ખનિજો ઉલેચવાની ક્ષમતામાં વધારો થશે. જેને કારણે આયાતી કોલસાના બિલમાં આશરે ૩૦ હજાર કરોડની બચત થશે. વન અને પર્યાવરણને લગતી મંજૂરીઓ ઓટોમેટિક ટ્રાન્સફર થવાથી ભ્રષ્ટાચાર ઓછો થશે અને સમયની બચત થશે. આના નિર્ણયને કારણે દેશમાં રોજગારની તકો પણ વધશે એમ તેમણે ઉમેર્યું હતું.
અલબત્ત હાલમાં એમએમઆરડી એક્ટમાં આ સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે, પરંતુ એક વાર આ કાનૂન લાગુ પડી જાય પછી સમય અને શક્તિની બચત થશે. સામાન્ય રીતે લીલામીપ્રક્રિયા પછી તમામ મંજૂરીઓ મળતા બે વર્ષ વીતી જતા હતા. જે મંજૂરી હવે આપોઆપ મળી જશે. કેબિનેટની આ બેઠકમાં નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડમાં વ્યૂહાત્મક વિનિવેશને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેટ કંપનીઓના વડાઓ લગભગ દોઢવરસથી આ માગણી કરી રહ્યા હતતા.