Get The App

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ

- વરસાદની ખાધથી વાવણી, પાકની ઉપજ તથા ગ્રામ્ય માગ પર અસર પડવાની ધારણા

- ઓછા વરસાદની આગાહીની પ્રતિકૂળ અસર થશે

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ 1 - image

મુંબઈ : દેશમાં ૨૦૨૬નું ચોમાસુ સામાન્ય કરતા નીચુ રહેવાની સ્થિતિમાં કઠોળ, સોયાબીન તથા કપાસના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડવાની શકયતા નકારાતી નથી. આ પાક એવા છે જે વધુ પડતા એવા રાજ્યોમાં થાય છે જ્યાં સિંચાઈ સુવિધા નબળી છે અને તેના માટે વરસાદ પર વધુ નિર્ભરતા રાખવી પડે છે. જો કે ચોખાના ઉત્પાદન પર કદાચ મોટી અસર જોવા નહીં મળે. યુદ્ધને કારણે માર્ચનો ફુગાવો આમપણ વધીને આવ્યો છે ત્યારે નબળા વરસાદથી  ભારત જેવા ઊંચી માગ સાથેના દેશમાં સ્થિતિ કઠીન બની શકે છે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. 

વર્તમાન વર્ષના ચોમાસામાં વરસાદનું પ્રમાણ લાંબા ગાળાની સરેરાશના ૯૨ ટકા રહેવા ભારતીય હવામાન વિભાગે અનુમાન મૂકયું છે. 

છેલ્લા ૨૬ વર્ષમાં આ સૌથી નબળી પ્રારંભિક ધારણાં છે. વરસાદની ખાધથી વાવણી, પાકની ઉપજ તથા ગ્રામ્ય માગ પર ગંભીર અસર પડી શકે છે એટલું જ નહીં ખાદ્ય પદાર્થના ફુગાવામાં પણ વધારો કરાવે છે. 

વરસાદની ખાધની સ્થિતિમાં સૌથી વધુ અસર સોયાબીનના પાક પર જોવા મળવા સંભવ છે. દેશમાં સોયાબીનના કુલ ઉત્પાદનમાંથી ૮૩  ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર તથા મધ્ય પ્રદેશમાં થાય છે. 

મહારાષ્ટ્રમાં સિંચાઈ હેઠળની જમીનની માત્રા વાવણી વિસ્તારના ૪૩.૩૦ ટકા છે જે ૫૯.૯૦ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી નીચી છે. મધ્ય પ્રદેશમાં સિંચાઈ હેઠળની જમીનની માત્રા ૬૦ ટકાથી વધુ છે. જો કે સોયાબીનના કુલ ઉત્પાદનમાં ૪૮ ટકા મહારાષ્ટ્રમાં અને ૩૫ ટકા મધ્ય પ્રદેશમાં થાય છે. 

દેશનું ૬૫ ટકા જેટલું કપાસ ઉત્પાદન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં થાય છે. ૨૫ ટકા સાથે સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે, ત્યારે ઓછા વરસાદની કપાસના ઉત્પાદન પર અસર પડવા સંભવ હોવાનું કૃષિ ક્ષેત્રના નિષ્ણાતે જણાવ્યું હતું.ગુજરાતમાં  વાવણી વિસ્તારની ૭૦ ટકા જમીન સિંચાઈ હેઠળ હોવાથી અહીં કપાસના ઉત્પાદન પર અસરની શકયતા ઓછી જોવાઈ રહી છે. 

દરમિયાન કઠોળમાં તુવેરના ઉત્પાદન સામે નબળા ચોમાસાથી જોખમ રહે છે. તુવેરના કુલ ઉત્પાદનમાંથી ૬૬ ટકા જેટલુ ઉત્પાદન મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં થાય છે. 

દેશમાં કઠોળના કુલ ઉત્પાદનમાંથી ૮૦ ટકા ઉત્પાદાન ઓછા સિંચાઈવાળા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક તથા રાજસ્થાનમાં થાય છે. આમાંથી મધ્ય પ્રદેશ જ એવુ રાજ્ય છે જેની સિંચાઈ જમીન રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. 

દેશમાં ચોખાનું ઉત્પાદન વધુ પડતુ સારી સિંચાઈ સાથેના રાજ્યો જેમ કે બંગાળ, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં થાય છે. યુદ્ધને કારણે માર્ચનો ફુગાવો વધીને આવ્યો છે અને આગળ જતા તે ઊંચો રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે ત્યારે નબળા ચોમાસાની સ્થિતિમાં ખાદ્ય પદાર્થનો ફુગાવો વધી શકે છે, જે વિકાસસિલ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, એમ કૃષિ નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું.