Get The App

યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ

- આગામી સમયમાં ખાતરની અછત ઊભી થવાની ચિંતા

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે ઊભું થયેલું જોખમ 1 - image

મુંબઈ : ઈરાનનું યુદ્ધ હવે માત્ર ભૌગોલિકરાજકીય તાણ કે પછી લશકરી અથડામણ પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ યુદ્ધને કારણે સંપૂર્ણ વિશ્વમાં અન્ન સલામતિ સામે જોખમ તોળાઈ રહ્યું છે.

મદદ માટેના માર્ગો, ઊર્જા બજારો તથા ખાતર પૂરવઠા સાંકળમાં ખલેલ વૈશ્વિક કૃષિ માટે કટોકટીની ક્ષણમાં ધકેલાઈ રહી છે જેને પરિણામે ભૂખમરાના સ્તરમાં વિક્રમી વધારા,અન્નની કિંમતમાં ઉછાળા તથા અનાજની વ્યાપક અછતનું જોખમ ઊભું થઈ રહ્યું છે. 

મધ્ય પૂર્વનો હાલનો સંઘર્ષ ભૌગોલિકરાજકીય તાણથી આગળ વધી અન્ન સલામતિના જોખમ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાનું વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.હાલનો સંઘર્ષ જૂન સુધી ચાલશે તો, વિશ્વના વધુ ૪.૫૦ કરોડ લોકોએ ભારે ભૂખમરાનો સામનો કરવાનો આવશે જે હાલના ૩૧.૯૦ કરોડના રેકોર્ડમાં વધારો કરાવશે. 

યુદ્ધને કારણે મદદ પહોંચતી કરવા માટેના માર્ગો બંધ પડી ગયા છે જેને પરિણામે  વિશ્વના કેટલાક વિસ્તારોમાં જીવન રક્ષક નિકાસોમાં ઢીલ થઈ રહી છે. 

સલામતિના જોખમોને કારણે જહાજોએ તેમના માર્ગ બદલવા પડી રહ્યા છે જેને પગલે શિપિંગ ખર્ચમાં ૧૮ ટકા જેટલો વધારો થયો છે. બીજી બાજુ જે દેશો તરફથી દાન પ્રવાહ આવી રહ્યો હતો તે પણ  હવે તેમના સંરક્ષણ ખર્ચ તરફ વળી રહ્યો છે જેને પરિણામે મદદ માટે ભંડોળમાં ખેંચ પડી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

હાલમાં ક્રુડ તેલ ભલે ભડકે બળી રહ્યું હોય પરંતુ અન્ન સલામતિ સામે સૌથી વધુ જોખમ ખાતરની અછત રહેલું છે. વિશ્વમાં વેપાર થતા કુલ યુરિયામાંથી પચાસ ટકા જેટલા યુરિયાની હોર્મુઝ ખાડી મારફત અખાતી દેશોમાંથી નિકાસ થાય છે. 

વૈશ્વિક ખાતરના વીસ ટકાનું ઉત્પાદન આ ક્ષેત્રમાં થાય છે. યુરિયાના વૈશ્વિક ઉત્પાદનમાં કતાર ફર્ટિલાઈઝર કંપનીનો હિસ્સો ૧૪ ટકા જેટલો છે. સંઘર્ષને કારણે જહાજની અવરજવર તથા ગેસ પૂરવઠા પર અસર પડતા ખાતર ઉત્પાદનને ફટકો પડયો છે.એલએનજી ઉત્પાદન પર અસર પડતા કતારે યુરિયા એકમો ખાતે ઉત્પાદન અટકાવી દેવાની ફરજ પડી છે. યુરિયાના ભાવ વાર્ષિક ધોરણે હાલમાં ૬૦ ટકા જેટલા વધી ગયા છે.