Business

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે

By GS TEAM
22 Nov 20252 mins read
થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે

મુંબઈ : કમર્સિઅલ બેન્કોમાં થાપણ થી ધિરાણનું પ્રમાણ પહેલી જ વખત ૮૦થી ઉપરના સ્તરે પહોંચી ગઈ છે જે બેન્કો થાપણ ઊભી કરવામાં પડકારોનો સામનો કરી રહી હોવાનું સૂચવે છે. દેશની આર્થિક પ્રવૃત્તિમાં સુધારા સાથે ધિરાણ માગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ત્યારે થાપણમાં મંદ વૃદ્ધિ ધિરાણ માગને પહોંચી વળવાનું મુશકેલ બનાવી શકે છે. 

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ૩૧ ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણની સામે ધિરાણની ટકાવારી ૮૦.૨૧ રહી હતી. છેલ્લા બે પખવાડિયાથી આ પ્રમાણ ૮૦ ટકાની ઉપર જોવા મળી રહ્યું છે. પાંચમી એપ્રિલ ૨૦૨૪ના પખવાડિયામાં આ પ્રમાણ ૭૬.૯૨ ટકા હતું. 

ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થાપણ વૃદ્ધિ હાલમાં એક અંકમા ંજોવા મળી રહી છે જ્યારે ધિરાણ વૃદ્ધિ દ્વીઅંકમા રહી છે.

૩૧મી ઓકટોબરના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૩૦ ટકા જોવા મળી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૧૧.૫૦ ટકા રહી હતી, એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. જીએસટીમાં કપાત તથા નીચા વ્યાજ દર ધિરાણ ઉપાડમાં વધારો કરાવશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ નીચી રહી છે. થાપણ વૃદ્ધિ ૯.૭૦ ટકા રહી છે જે ૧૭ ઓકટોબરના પખવાડિયામાં ૯.૫૦ ટકા જોવા મળી હતી.રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે ધિરાણનો એકંદર આંક રૂપિયા ૧૯૩.૯૦ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણનો આંક રૂપિયા ૨૪૧.૭૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. હાલમાં વ્યાજ દર નીચા હોવાથી બેન્કો માટે  થાપણો ઊભી કરવાની કામગીરી પડકારરૂપ બની રહી છે. વર્તમાન વર્ષમાં ફેબુ્રઆરીથી જૂનના ગાળામાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. રેપો રેટ હાલમાં ૫.૫૦ ટકા પર સ્થિર છે.