ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો
- બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓનો હિસ્સો મે ૨૦૨૫માં ઘટીને ૧૪.૫% થયો જે ૨૦૧૩માં ૨૨%ની ટોચ પર હતો
અમદાવાદ : ભારતીય દવા બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓનો હિસ્સો સતત નીચી સપાટી તરફ જઈ રહ્યો છે. કન્સલ્ટન્સી ફર્મ ફાર્મારેક અનુસાર, સ્થાનિક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન બજારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો મે ૨૦૨૫માં ઘટીને ૧૪.૫% થયો છે જે એક વર્ષ પહેલાના મહિનામાં ૧૪.૮% હતો. ૨૦૧૩ માં ૨૨% ની ટોચ પર પહોંચ્યા પછી બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓનો હિસ્સો વર્ષ-દર-વર્ષ સતત ઘટી રહ્યો છે.
હિસ્સામાં ઘટાડા પાછળના મુખ્ય પરિબળોમાં તાજેતરના વર્ષોમાં અનેક બ્લોકબસ્ટર મોલેક્યુલ્સ પર પેટન્ટની સમાપ્તિ, જેનેરિક્સ સેગમેન્ટ પર બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓનું ઓછું ધ્યાન અને સ્થાનિક ફાર્મા કંપનીઓના ગુણવત્તા ધોરણોમાં નોંધપાત્ર સુધારો સામેલ છે. બ્રાન્ડેડ જેનેરિક ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધાને કારણે, બહુરાષ્ટ્રીય કંપનીઓએ ઓન્કોલોજી, ટ્રાન્સપ્લાન્ટ વગેરે જેવા વિશિષ્ટ ઉપચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમાં ઘણી બધી સુપર-સ્પેશિયલાઇઝેશનનો સમાવેશ થાય છે. જોકે આ સેગમેન્ટમાં દર્દીઓનો આધાર અને વોલ્યુમ ઓછું છે.
આ કંપનીઓ દેશમાં ઇનોવેટર મોલેક્યુલ્સ લાવવા માટે જાણીતી છે પરંતુ એકવાર આ દવાઓ પેટન્ટની બહાર થઈ જાય, પછી અન્ય ફાર્મા કંપનીઓ મૂળ દવાની કિંમતના પાંચમા કે દસમા ભાગના ભાવે સમાન દવાઓનું ઉત્પાદન કરે છે.
સ્થાનિક ફાર્મા કંપનીઓએ યુએસએફડીએ ધોરણોનું પાલન કરીને તેમના ગુણવત્તા ધોરણોમાં સુધારો કર્યો છે, જેના કારણે તેઓ ગુણવત્તાના પાસાઓ પર વિદેશી કંપનીઓની સમકક્ષ બન્યા છે.
હાલમાં, ભારતમાં લગભગ ૩૦ ફાર્મા બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત છે.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં કાનૂની માળખું પણ હંમેશા બહુરાષ્ટ્રીય કંપનીઓની તરફેણમાં નથી હોતું જે બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ભારતીય બજારમાં રસ ગુમાવવાનું એક સૌથી મોટું કારણ છે.