Business

રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત

By GS TEAM
7 Dec 20252 mins read
રિઝર્વ બેન્ક દ્વારા રેટ કટની વર્તમાન સાઈકલ લગભગ પૂરી થયાનો મત

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વ્યાજ દરમાં કપાતની વર્તમાન સાઈકલ હવે પૂરી થઈ છે. આર્થિક વિકાસ દર નબળો પડશે તો જ નજીકના ભવિષ્યમાં કપાત જોવા મળશે એમ ઈક્રા દ્વારા અનુમાન મૂકવામાં આવ્યું છે. હાલનો વ્યાજ દર લાંબા સમય સુધી યથાવત રહેશે. 

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) અને ફુગાવાની હાલની અનુકૂળ સ્થિતિમાં રિઝર્વ બેન્કે શુક્રવારે રેપો રેટ ૦.૨૫ ટકા ઘટાડી ૫.૨૫ ટકા કર્યો છે. છ મહિનાના ગાળા બાદ આ કપાત આવી પડી છે. 

રેપો રેટમાં હવે પછીની કપાત ત્યારે જ જોવા મળશે જ્યારે આર્થિક  વિકાસ નબળો પડતો જણાશે. શુક્રવારે રેપો રેટમાં કરાયેલી કપાત દર ઘટાડાની વર્તમાન સાઈકલની અંતિમ હોવાનો રેટિંગ એજન્સી ઈક્રા દ્વારા એક રિપોર્ટમાં મત વ્યકત કરવામાં આવ્યો છે.

ઓકટોબરમાં ફુગાવામાં જોવા મળેલો ઘટાડો જીએસટી દરમાં કરાયેલા ફેરબદલને પરિણામે જોવા મળ્યો હતો. 

જીએસટીંમાં ઘટાડાની હકારાત્મક અસર નાણાં વર્ષ ૨૦૨૭ના બીજા ત્રિમાસિક સુધી ફુગાવામાં ઘટાડા તરફી દબાણ લાવશે. વર્તમાન નાણાં વર્ષના ફુગાવાના અંદાજને રિઝર્વ બેન્કે ઘટાડી ૨ ટકા કર્યો છે જે અગાઉ ૨.૬૦ ટકા મુકાયો હતો. આ ઉપરાંત આર્થિક વિકાસ દરનો અંદાજ પણ વધારી ૭.૩૦ ટકા કરાયો છે. 

નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી ઠાલવવાના આરબીઆઈના પગલાંથી ધિરાણદારો માટે ધિરાણ  દર ઘટાડવાનું સરળ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સ જાળવી રાખી રિઝર્વ બેન્કે નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડો કરવાનો નિર્ણય સ્થિતિને ધ્યાનમાં રાખીનેે લેવાશે તેવા પણ સંકેત આપ્યા છે.