ડીસ્કોમ્સ માટેની યોજના વીજ ઉત્પાદકો માટે ટેકારૂપ બની રહેશે
- વીજ પૂરવઠા સાંકળમાં વીજ વિતરણ કંપનીઓ એક નબળી કડી રહી છે
મુંબઈ, તા. 02 ફેબ્રુઆરી 2021, મંગળવાર
રાજ્ય વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ)ની કામગીરી તથા નાણાંકીય સ્થિતિ સુધારવાના ભાગરૂપ બજેટમાં રજુ કરાયેલી દરખાસ્ત વીજ ઉત્પા દક કંપનીઓ માટે લાંબા ગાળે ટેકારૂપ બની રહેશે. વીજ પૂરવઠા સાંકળમાં ડીસ્કોમ્સ એક નબળી કળી છે. બજેટ દરખાસ્તને કારણે વીજ ઉત્પા દક કંપનીઓના કેશ ફલોમાં વધારો થવામાં મ દ દ મળશે એમ રેટિંગ એજન્સી ફીચના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
૪૧ અબજ ડોલરના સૂચિત પાંચ વર્ષના પ્લાન મારફત વીજ ખોટ ઘટાડવા, આવક સુધારવા, વીજની ગુણવત્તા વધારવા તથા વીજ ક્ષેત્રમાં સ્પર્ધાને સ્થાન આપવાનો હેતુ રહેલો છે.
ખર્ચાળ વીજ, ટેકનિકલ તથા કમર્સિઅલ ખોટ વગેરે જેવી બાબતોને પરિણામે ડીસ્કોમ્સ જંગી દેવાબોજનો સામનો કરી રહી છે. આ અગાઉ સરકારે ૨૦૧૫માં ઉજવલ ડીસ્કોમ એસ્યૂરન્સ યોજના (ઉદય) બહાર પાડી હતી. જો કે ડીસ્કોમ્સની સ્થિતિ સુધારવા આ સ્કીંમ સફળ રહી નહોતી.
મહામારીને કારણે ડીસ્કોમ્સની મુશકેલીમાં વધારો થયો છે. ઊંચા દર સાથેના કમર્સિઅલ ગ્રાહકો તરફથી વીજ માગમાં ઘટાડો નોંધાતા ડીસ્કોમ્સની આવક પર અસર પડી છે. રોકડ વસૂલીમાં પણ ઘટાડો નોંધાયો હતો.
ડીસ્કોમ્સની સ્થિતિ સુધારવા સ્માર્ટ મીટરિંગ, માળખામાં સુધારા વગેરે પાછળ ખર્ચ કરવા યોજના હોવાનું બજેટ દરખાસ્તમાં જણાવાયું છે.
ડીસ્કોમ્સની નાણાં સ્થિતિમાં અર્થપૂર્ણ બદલાવ વીજ ઉત્પાદન કંપનીઓની ક્ષમતા ઉપયોગીતામાં વધારો કરાવશે એટલું જ નહીં તેમને નાણાં પણ સમયસર મળવામાં મદદ મળશે.