આગામી વર્ષમાં કઠોળની આયાત ઘટીને માત્ર દસ લાખ ટન રહેવાની ધારણા
- આયાત કવોટામાં રહેલી ક્ષતિઓ સરકારે દૂર કરતા વિદેશી માલની આવકો ઘટશે : પીળા વટાણાની ૫૦ ટકા જેટલી આયાત
નવી દિલ્હી, તા. 14 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
ઘરઆંગણે વિપુલ ઉત્પાદન અને વિદેશમાંથી ખરીદી પર અંકૂશ લાવતા સરકારી પગલાંઓને કારણે ૨૦૨૦-૨૧માં ભારતની ચણા જેવા કઠોળની આયાત ૬૦ ટકા ઘટી દસ લાખ ટન્સ રહેવા ધારણાં છે.
ભારત પ્રોટિનયુકત કઠોળનો મોટો વપરાશકાર દેશ છે ત્યારે તેના દ્વારા નીચી આયાત ઘરઆંગણે કઠોળના ભાવને ટેકો આપશે પરંતુ કેનેડા, રશિયા, મ્યાનમાર તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોના ખેડૂતોને આનાથી ફટકો પડશે.
માર્ચના અંતે પૂરા થનારા નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતની કઠોળની આયાત ત્રણ ગણી વધીને ૨૫ લાખ ટન્સ રહેવા ધારણાં છે એમ ઈન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઈન એસોસિએશનના ચેરમેન જિતુ ભેદાએ જણાવ્યું હતું.
૨૦૧૬-૧૭માં કઠોળની જંગી આયાતને કારણે ઘરઆંગણે ભાવમાં જોરદાર કડાકો બોલાઈ જતા ભારત સરકારે, પીળા વટાણા, લીલા ચણા તથા ચણા જેવા કઠોળ માટે આયાત કવોટા દાખલ કર્યો હતો.
સરકારી કવોટાસ પ્રમાણે ટ્રેડરો માત્ર દસ લાખ ટન્સ કઠોળની આયાત કરી શકે છે પરંતુ ટ્રેડરોએ વિવિધ કોર્ટસમાં અરજીઓ કરીને ૧૫ લાખ ટન્સ વધુ કઠોળ આયાત કર્યા છે. વેપાર તથા ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું કે, ટ્રેડરો કવોટા કરતા વધુ કઠોળની આયાત ન કરે તે માટે સત્તાવાળાઓએ ક્ષતિઓ દૂર કરી છે.
આવતા વર્ષે ટ્રેડરો માત્ર દસ લાખ ટન્સ કઠોળની જ આયાત કરી શકશે, એમ તેમણે જણાવ્યું હતું. ભારતની કઠોળની આયાતમાં પચાસ ટકા આયાત પીળા વટાણાની થાય છે.
ચણાના ભાવ હાલમાં ૧૦૦ કિલોના રૂપિયા ૪૦૦૦ આસપાસ બોલાય છે જે સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલા રૂપિયા ૪૮૭૫ના ભાવ કરતા ઘણાં નીચા છે. આને પરિણામે, સરકારૅે નાફેડ જેવી સંસ્થાઓને ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું જણાવવા ફરજ પડી શકે છે.