થમ્સઅપ જેવી બ્રાન્ડના ગુજરાતી માલિક હવે બિસલેરી પણ વેચી રહ્યાં છે, કહ્યું ટાટાને જ વેચીશ, જાણો કારણ
પાણીની બોટલ વેચતી કંપનીને 7,000 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહ્યું છે, ટાટા ગ્રુપ.
ટાટા જૂથને જ કેમ વેચી રહ્યાં છે બિસલેરી?
Updated: Nov 24th, 2022
અમદાવાદ,તા.24-11-2022, ગુરુવાર
દેશની સૌથી મોટી પેકેજ્ડ ડ્રિકિંગ વોટર કંપની બિસલેરી ટાટા ગ્રુપને વેચાવા જઈ રહી છે તેવા સમાચાર છે. આવામાં આ કંપનીએ અંબાણીની અને બીજી મોટી કંપનીઓની સામે ટાટાને જ પસંદ કરવાનું નક્કી કર્યુ છે તેવું બિસલેરીના માલિક જણાવે છે. ત્યારે જાણીએ કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે અને શા માટે બિસલેરીને વેચવી પડી રહી છે.
ટાટા જૂથને જ કેમ વેચી રહ્યાં છે બિસલેરી?
82 વર્ષીય રમેશ ચૌહાણે એક ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, "મને ટાટા જૂથની સંસ્કૃતિ ગમે છે જે પ્રામાણિકતા અને જીવનના મૂલ્યોનું સન્માન કરે છે. આ કારણે મેં તેને પસંદ કરી છે. જ્યારે અન્ય કંપનીઓ પણ આ બ્રાન્ડને ખરીદવા માટે ખૂબ જ આક્રમક હતા."
બિસ્લેરી કંપની ખરીદવા માટે રિલાયન્સ અને નેસ્લે જેવી મોટી કંપનીઓએ પણ પ્રયાસ કર્યો હતો.
રમેશ ચૌહાણ આ કંપની પહેલા કઈ કંપનીઓ ચલાવતા હતા?
ત્રણ દાયકા પહેલા રમેશ ચૌહાણે 'થમ્સ અપ', 'ગોલ્ડ સ્પોટ', 'લિમ્કા' અને 'માઝા' જેવી પ્રખ્યાત સોફ્ટ ડ્રિંકની કંપની ચલાવતા હતા. જે સમય જતા તેમણે મલ્ટીનેશનલ કંપની ગણાતી કોકા-કોલાને કંપનીને વેચી હતી અને એ પછી હવે હાલમાં બિસ્લેરી કંપની ટાટા જૂથને વેચવા જઈ રહ્યા છે.
બિસ્લેરી સૌથી મોટી પેકેજ્ડ પીવાના પાણીની કંપની
ચૌહાણ કહે છે કે, તેમના માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે તેમની આ કંપનીને આગળ લઈ જવા માટે તેમનો કોઈ વારસદાર નથી. જો કે તેમની પુત્રી જયંતિ છે પરંતુ તે આ ધંધામાં કોઈ રૂચિ નથી. ઉપરાંત જો બિસ્લેરીની વાત કરવામાં આવે તો તે ભારતની સૌથી મોટી પેકેજ્ડ ડ્રિકિંગ વોટર વેચતી કંપની છે.
ટાટા જૂથના વખાણ
હમણાં થોડા સમયથી, રમેશ ચૌહાણ ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમર્સના સીઈઓ સુનીલ ડિસોઝાને મળતા હતા. ફક્ત એ જ નહિ ટાટા જૂથના ટોચના અધિકારીઓની પ્રશંસા કરતાં તેમણે કહ્યું છે કે 'હું તેમને પસંદ કરું છું અને તેઓ સારા લોકો છે'.
બિસ્લેરી ટાટા જૂથના કાર્ય હેઠળ આવ્યા પછી ચૌહાણ તેમની કંપનીમાં લઘુમતી હિસ્સો પણ નથી ઈચ્છતા. તેમણે કહ્યું છે કે જ્યારે હું કંપની ચલાવીશ જ નહીં તો હું કંપનીમાં હિસ્સો રાખીને પણ શું કરીશ.
બિસ્લેરી કંપનીના વેચાણ અંગેની સ્પષ્ટતા
તેણે બિસ્લેરી કંપનીના વેચાણ અંગેની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિર્ણય પૈસાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નથી. હું ચિંતિત હતો કે આ કંપનીને યોગ્ય રીતે ચલાવવા એક બિઝનેસ ગ્રુપ શોધવું પડશે જે મારી જેમ તેની સંભાળ રાખી શકે. મેં આ વ્યવસાય ખૂબ જ મહેનત અને જુસ્સાથી બનાવ્યો છે અને એટલા જ જુસ્સા સાથે તેને લોકો દ્વારા ચલાવવામાં આવે છે."
૨૦૨૩ ના નાણાકીય વર્ષમાં, બિસ્લેરીનું વાર્ષિક ટર્નઓવર 2500 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં લગભગ 220 કરોડનો નફો થશે.