Business

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ

By GS TEAM
3 Sep 20252 mins read
ઈથેનોલનું અમર્યાદિત  ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ

મુંબઈ : નવેમ્બરથી શરૂ થતી ૨૦૨૫-૨૬ની નવી  મોસમમાં ઈથેનોલનું અમર્યાદિત માત્રામાં ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને સરકારે પરવાનગી આપી છે. ઈથેનોલ સપ્લાય યર નવેમ્બરથી ઓકટોબર દરમિયાન રહે છે.

ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓ  ઈથેનોલ સપ્લાય યર ૨૦૨૫-૨૬  દરમિયાન શેરડીના રસ /ખાંડ સિરપ, બી હેવી મોલાસિસ તથા સી-હેવી મોલાસિસમાંથી ઈથેનોલનું  કોઈ પણ પ્રકારની મર્યાદા વગર ઉત્પાદન કરી શકશે એમ અન્ન મંત્રાલય દ્વારા એક નોટિફિકેશનમાં જણાવાયું છે.

પેટ્રોલિયમ મંત્રાલય સાથે સલાહમસલત કરી અન્ન મંત્રાલય ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવાના નિર્ણયની સમયાંતરે સમીક્ષા કરતું રહેશે જેથી ખાંડના ઉત્પાદનમાં ખલેલ ન પડે એમ નોટિફિકેશનમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન ૨૦૨૪-૨૫ના ઈથેનોલ સપ્લાય યર  દરમિયાન સ રકારે ૪૦ લાખ ટન ખાંડને ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવા પરવાનગી આપી છે. ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે. 

જાહેર ક્ષેત્રની તેલ રિફાઈનિંગ કંપનીઓ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. વર્તમાન વર્ષમા ૩૧ જુલાઈમાં સરેરાશ ૧૯.૦૫ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ સિદ્ધ કરવામાં સફળતા મળી છે. 

પેટ્રોલમાં ઈથેનોલના બ્લેન્ડિંગને કારણે દેશના ક્રુડ તેલ આયાત બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળવાની શકયતા છે એટલ ુ જ નહીં દેશમાં પેટ્રોલ મારફત ફેલાતા પ્રદૂષણને પણ નિયંત્રણમાં લાવી શકાશે. 

શેરડીના નીચા ઉત્પાદનને કારણે  વિશ્વના બીજા મોટા ખાંડ ઉત્પાદક ભારતે વર્તમાન માર્કેટિંગ વર્ષમાં ઈથેનોલના ઉત્પાદનને મર્યાદિત રાખ્યું છે.

વર્તમાન વર્ષમાં દેશમાં ચોમાસુ સારુ રહેતા શેરડીનું ઉત્પાદન જોરદાર રહેવાની ધારણાંને ધ્યાનમાં રાખી સરકારે અમર્યાદિત માત્રામાં ઈથેનોલ ઉત્પન્ન કરવા પરવાનગી આપી હોવાનું માનવામાં આવે છે.