ભારતમાંથી ચીની ટેકનિશિયનોનું અચાનક પલાયન
- ચીનમાંથી સ્થળાંતર કરી ભારતમાં આવતા ઉદ્યોગોને અટકાવવા આડકતરો પ્રયાસ
- વૈશ્વિક ઉત્પાદક મથક બનવાની ભારતની મહત્ત્વકાંક્ષા આડે અવરોધ
નવી દિલ્હી : સરહદપાર હિલચાલ પર ચીન પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે જેને કારણે વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની ભારતની મહત્વકાંક્ષા પર અવરોધ ઊભો થઈ શકે છે. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે ફોકસકોન્ન જે એપલના સૌથી મોટા કોન્ટ્રેકટ ઉત્પાદક છે તેના દક્ષિણ ભારતના આઈફોન ઉત્પાદન મથકેથી સેંકડો ચાઈનીસ એન્જિનિયરો અને ટેકનિશિયનોને પલાયન થઈ રહ્યા છે.
ચીનમાંથી સ્થળાંતર કરી ભારતમાં ઉદ્યોગો સ્થાપવાના કંપનીઓને અટકાવવાના ચીન પ્રયાસમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ સંદર્ભમાં ફોકસકોન્ન તથા એપલે ભારત સરકારનું ધ્યાન દોર્યું છે, પરંતુ આ પલાયનના કારણોની સ્પષ્ટતા કરાઈ નથી.
જે રીતે સેંકડો કર્મચારીઓ પલાયન થઈ રહ્યા છે તે કંઈક અલગ જ સંકેત આપી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આ અગાઉ એક નિર્ણયમાં ચીને છેલ્લા બે મહિનાથી ચૂપચાપ રીતે સ્પેશિયાલિટી ખાતરની ભારત ખાતે નિકાસ અટકાવી દીધી હોવાના અહેવાલ હતા.
વર્તમાન વર્ષના પ્રારંભમાં ચીને નિયમનકારી સંસ્થાઓ અને સ્થાનિક સરકારોને ટેકનોલોજી તથા સ્કીલ્ડ કર્મચારીઓને ભારત તથા વિયેતનામ જેવા દેશોમાં જતા અટકાવવા અનુરોધ કર્યો હોવાના અહેવાલ હતા.
આમ ભારતમાં ઉત્પાદન ક્ષેત્ર માટે જરૂરી એવી ટેલેન્ટ અને સાધનોને આવતા ચીન ચૂપચાપ રીતે અટકાવી રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ચીનની આ હિલચાલને અમેરિકાની ટેરિફ નીતિ સામે પ્રતિકારક પગલાં તરીકે જોવાઈ રહી છે.
ભારત ખાતેના એકમોમાં સ્થાનિક કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા અને આઈફોન્સના ઉત્પાદનમાં ઝડપ લાવવા ફોકસકોન્ને ચીનના નિષ્ણાતોને કામે લગાડયા હતા.
ચીન ઉપરાંત અન્ય દેશની નીતિના ભાગરૂપ એપલે કોરોનાના કાળ બાદ ભારતમાં ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. આમછતાં પોતાના ઉત્પાદન મોડેલ માટે એપલ કંપની ચીનના કર્મચારીબળ પર આધાર રાખી રહી છે. છેલ્લા બે મહિનામાં ફોકસકોન્નના તામિલનાડૂ તથા કર્ણાટક ખાતેના એકમોમાંથી અંદાજે ૩૦૦ જેટલા ચાઈનીસ એન્જિનિયરો અને ટેકનિશિયનો ચૂપચાપ રીતે પલાયન કરી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.