મુંબઈ : વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપી ગ્લોબલે આગામી નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ ૪૦ બેઝિસ પોઈન્ટ વધારી ૭.૧૦ ટકા કર્યો છે જે દેશની આર્થિક ગતિવિધિ મજબૂત હોવાના સંકેત આપે છે.
નાણાં વર્ષ ૨૦૨૮ તથા ૨૦૨૯ના જીડીપી અંદાજ પણ વધારી ૭.૨૦ ટકા અને ૭ ટકા કરાયા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ જાળવી રાખશે તેવો પણ એજન્સીએ મત વ્યકત કર્યો છે. જો કે ક્રુડ તેલના વધી રહેલા ભાવ સામે ચિંતા વ્યકત કરી છે. ક્રુડના ઊંચા ભાવથી ફુગાવો વધવાની ચિંતા રહેલી છે.નાણાં વર્ષ ૨૦૨૬માં ૨.૫૦ ટકા સામે રિટેલ ફુગાવો ૨૦૨૭માં ૪.૩૦ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે.
દરમિયાન મૂડી'સ એનાલિટિકસે મધ્ય-પૂર્વનો વર્તમાન સંઘર્ષ ચાલુ રહેશે તો એશિયા પેસિફિકમાં ભારતને સૌથી વધુ આર્થિક ફટકો પડશે તેવી ચેતવણી ઉચ્ચારી છે. એશિયા પેસિફિક વિસ્તારમાં યુદ્ધ સામે દક્ષિણ કોરિઆ તથા ચીન ઉપરાંત ભારતનો સૌથી નબળા અર્થતંત્રમાં સમાવેશ થાય છે. યુદ્ધને કારણે ઊર્જા પ્રવાહમાં ખલેલ ઉપરાંત કોમોડિટીના ભાવ ઉછળ્યા છે.
તેલ તથા ગેસની આયાત માટે ભારત અખાતી દેશો પર નોંધપાત્ર આધાર રાખે છે. ઊર્જા ખર્ચમાં સતત વધારાથી આર્થિક પરિણામો જોવા મળવાનું જોખમ રહેલું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈરાન યુદ્ધ પહેલા ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ગોલ્ડમેન સાચ્સે જે સાત ટકા મૂકયો હતો તેને યુદ્ધ બાદ ૧૩મી માર્ચે ઘટાડી ૬.૫૦ ટકા કરાયો હતો. યુદ્ધ વધુ ખેંચાતા અંદાજમાં ફરી ઘટાડો કરી મંગળવારે ૫.૯૦ ટકા મૂકયો હતો.


