એક જ ઘરમાં ચાર લોકોના મૃતદેહ મળતા હડકંપ, વેપારી પરિવારના મોત પર ઘૂંટાતું રહસ્ય
Image: Facebook
Karnataka: કર્ણાટકના મૈસૂરમાં એક ઘરમાં સોમવારે એક પરિવારના ચાર લોકો મૃત અવસ્થામાં મળ્યા. પોલીસે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શહેરના વિશ્વેશ્વરૈયા નગરમાં થઈ. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ ચેતન (45), તેની પત્ની રુપાલી (43), તેમનો પુત્ર કુશાલ (15) અને ચેતનની માતા પ્રિયંવદા (62) તરીકે થઈ છે. પોલીસના એક અધિકારીએ પ્રારંભિક તપાસના હવાલાથી જણાવ્યું કે શંકા છે કે ચેતને પોતાના પરિવારના સભ્યોને ઝેર આપ્યું અને પછી પોતે ફાંસી લગાવી દીધી. જોકે, તેમના મોતના યોગ્ય કારણનો ખુલાસો થઈ શક્યો નથી. પોલીસે કહ્યું કે ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવાઈ છે.
જાણકારી અનુસાર ચેતન મૂળરીતે હાસન જિલ્લાના ગોરુર ગામનો રહેવાસી હતો. તે દુબઈમાં એન્જિનિયર હતો અને 2019માં મૈસૂર પાછો ફર્યો હતો. રિપોર્ટ અનુસાર પાછા આવ્યા બાદ ચેતને એક જોબ કન્સલ્ટન્સી શરૂ કરી. જેમાં ગ્રેજ્યુએટ્સને દુબઈની ફર્મમાં નોકરી અપાવવામાં આવતી હતી. રવિવારે ચેતન પોતાના પરિવારને ગોરુર મંદિર ફરવા લઈને આવ્યો હતો. પોતાના એપાર્ટમેન્ટ પાછા ફર્યા પહેલા તમામે ચેતનની સાસરીમાં જમવાનું જમ્યું હતું.
આવી છે શંકા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એવી શંકા છે કે ચેતને પરિવારજનોને ઝેર આપીને પોતે પણ આત્મહત્યા કરી. જોકે ઘરમાં ઝેરનો કોઈ અંશ મળ્યો નથી. હાલ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જેથી મોતનું યોગ્ય કારણ ખબર પડી શકે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ચેતને ઘટનાથી પહેલા અમેરિકામાં રહેતાં પોતાના સાળાને ફોન કર્યો હતો. સાળાએ મૈસૂરમાં ચેતનના માતા-પિતાને ત્યાંની સ્થિતિ વિશે જાણકારી આપી.
પાડોશીઓએ જણાવ્યુ કે આ પરિવાર લગભગ એક દાયકાથી આ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ લોકો સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં અને વર્તમાન સમયમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ કે પરેશાની જોવા મળી નહોતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ આસપાસના લોકો ખૂબ વધુ પરેશાન છે. તમામને લાગી રહ્યું હતું કે આ પરિવારમાં તમામ લોકો સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં.