માર્જીનના ધોરણો હળવા કરવા શેર બ્રોકરોની RBIનો સંપર્ક કરવા સેબીને ભલામણ
- નવા નિયમને પરિણામે ગ્રાહકો માટે મર્યાદિત માર્જિન ઉપલબ્ધતાને કારણે શેરોમાં ટ્રેડીંગ વોલ્યુમ ઘટયું
મુંબઈ : શેરબ્રોકરો દ્વારા બેંકો પાસેથી ઈન્ટ્રા-ડે ફંડિંગ મેળવવાનું અત્યંત ખર્ચાળ બન્યું હોઈ આ સંબંધિત તાજેતરમાં લેવાયેલા કડક પગલાં-ધોરણોને હળવા કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)નો સંપર્ક કરવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ને ભલામણ કરાઈ છે.
સેબીને લખેલા પત્રમાં બ્રોકરોનો સંગઠન એસોસીયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા(એનમી) દ્વારા જણાવાયું છે કે, નવા નિયમને પરિણામે ગ્રાહકો માટે મર્યાદિત માર્જિન ઉપલબ્ધતાને કારણે શેરોમાં ટ્રેડીંગ વોલ્યુમ ઘટયું છે. જેની શેર દલાલીના બિઝનેસમાં તંદુરસ્ત હરીફાઈ પર મોટી નેગેટીવ અસર પડે છે અને મોટાભાગના મધ્યમ કદના બ્રોકિંગ હાઉસોને અસર થાય છે.
રિઝર્વ બેંકે મે મહિનામાં બેંકોને સૂચના આપી હતી કે, સ્ટોક બ્રોકર્સને ઈન્ટ્રા-ડે ક્રેડિટ ફિક્સ્ડ ડિપોઝિટ અને માર્કેટેબલ સિક્યોરિટીઝના રૂપમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્જિન પેટે હોવા જરૂરી છે. જેથી ઈન્ટ્રા-ડે ફંડ તરીકે રૂ.૫૦૦ કરોડની જરૂર હોય તેવા શેરબ્રોકરને ઓછામાં ઓછા રૂ.૨૫૦ કરોડ ધિરાણ આપતી બેંકને કોલેટરલ તરીકે ચૂકવવા પડશે.
હમણાં સુધી બેંકો દ્વારા શેરબ્રોકરોને ઈન્ટ્રા-ડે ફંડને લોન ગણવામાં આવતું નહોતું. જે મોટાભાગે ગ્રે વિસ્તાર રહ્યો, કારણ કે ન તો બેંકોએ તેને મૂડીબજારના એક્સપોર તરીકે વર્ગીકૃત કર્યું કે ન તો રિઝર્વ બેંકે તેના પર આગ્રહ રાખ્યો. બેંકોએ તેમના રિસ્ક પ્રોફાઈલ, ટ્રેક રેકોર્ડ અને સંબંધોના આધારે બ્રોકરોને કોઈપણ જામીન વગરની સુવિધાનો વિસ્તાર કર્યો હતો.
સ્ટોક બ્રોકર્સને અસ્થાયી જરૂરીયાતો પૂરી કરવા માટે બેંકો પાસેથી ઈન્ટ્રા-ડે ફંડિંગ સુવિધાઓની જરૂર હોય છે, જેમ કે એક્સચેન્જની જવાબદારીઓનું પે-ઈન, તેમના ક્લાયન્ટના કસ્ટોડિયલ પાર્ટિસિપન્ટ કોડ્સ હેઠળ સોદા ચલાવવા અને ઈન્ટ્રા-ડે માર્જિનની જરૂરીયાતો વગેરે હોય છે.
બ્રોકર્સ સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર એફ એન્ડ ઓ ટ્રેડ્સ મૂકવા અને એક્ઝિક્યુટ કરવા માટે તેમની બેંકોમાંથી ઈન્ટ્રા-ડે ફંડિંગનો પણ લાભ લે છે. તમામ વેપારો અપફ્રન્ટ માર્જિનની રજૂઆત પછી ક્લાયન્ટના કોલેટરલનું વિભાજન અને સેબી દ્વારા પીક માર્જિનની જરૂરીયાત, ડિફોલ્ટનું જોખમ નોંધપાત્ર ઘટયું છે, તેથી આરબીઆઈ દ્વારા નવી આવશ્યકતા જરૂરી નહીં હોવાનું એએનએમઆઈના પ્રમુખ કમલેશ શાહે જણાવ્યું હતું.