નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે
- નિફટી ૨૫૬૬૬ થી ૨૪૭૭૭ વચ્ચે અથડાશે
- શેરોમાં નવી ખરીદીમાં ખૂબ જ સાવચેત રહી ઓવરબોટ પોઝિશનથી દૂર રહેવું જરૂરી
મુંબઈ : મહાયુદ્વનું વિશ્વ પરનું જોખમ વધી રહ્યું છે. વિશ્વ અત્યારે ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મોરચે મહાસત્તાઓ આ યુદ્વમાં ઝુંકાવવાની તૈયારી કરી રહ્યાના અને હવે એકપ્રકારે આ ત્રીજું વિશ્વ યુદ્વ શરૂ થઈ ગયાનું કેટલાક વૈશ્વિક સમીક્ષકો માનવા લાગ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ-વેપાર યુદ્વમાં ધકેલ્યા બાદ હવે વિશ્વમાં એક પછી એક યુદ્વને લઈ અશાંતી પ્રવર્તિ રહી છે. એવામાં ઈરાન અત્યારે ઈઝરાયેલ સામે ઝૂંકવા તૈયાર નહીં હોવાનું અને ઈઝરાયેલ સાથેના તેના યુદ્વમાં કોઈ ત્રીજો દેશ સીધી દખલગીરી કરશે તો તેમના સૈન્ય ઠેકાણો પર પણ પ્રહાર કરવાની ઈરાનની ધમકીને લઈ પરિસ્થિતિ જોખમી બની રહી છે. ઈઝરાયેલને સીધો સપોર્ટ કરનાર અને ઈઝરાયેલના સમર્થનમાં અમેરિકા હવે ઈરાન પર સૈન્ય કાર્યવાહીમાં મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિશ્વની અન્ય મહાસત્તાઓ રશીયા અને ચાઈના હવે ઈરાનના સમર્થનમાં ઉતર્યા છે. જે વિશ્વમાં યુદ્વની સ્થિતિને અત્યંત જોખમી બનાવી શકે છે. જેથી હાલ તુરત આ પરિસ્થિતિમાં શેરોમાં નવી ખરીદીમાં ખૂબ જ સાવચેત રહી ઓવરબોટ પોઝિશનથી દૂર રહેવું જરૂરી છે. વૈશ્વિક યુદ્વની પરિસ્થિતિના આ પરિબળ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૬૬૬થી ૨૪૭૭૭ વચ્ચે અને સેન્સેક્સ ૮૪૧૧૧થી ૮૧૧૧૧ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.
અર્જુનની આંખે : INSECTICIDES (INDIA) LTD.
બીએસઈ (૫૩૨૮૫૧) અને એનએસઈ (INSECTICID) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૭૨.૩૦ ટકા અગ્રવાલ ફેમિલી પ્રમોટેડ, બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૬૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ઈન્સેક્ટિસાઈડ્સ ઈન્ડિયા એગ્રોકેમિકલ્સ (ટેકનિકલ અને ફોર્મ્યુલેશન) જૈવિક અને ઘરગથ્થુ ઉત્પાદનોના ઉત્પાદનમાં પ્રવૃત છે. કંપની ભારતીય બજારોમાં સીધા અંતિમ ગ્રાહકોને ઉત્પાદનોનું વેચાણ કરે છે અને ફોર્મ્યુલેશનના બિઝનેસમાં રહેલી કંપનીઓને ટેકનિકલ અને ફોર્મ્યુલેશન વેચે છે. કંપની રજીસ્ટ્રેશન દ્વારા ૧૦૦થી વધુ ગ્રાહકો ધરાવતા ૩૦ દેશોમાં નિકાસ પણ કરે છે. કંપની પાસે અત્યાર સુધીમાં ૭૫થી વધુ રજીસ્ટ્રેશન છે.
પ્રોડક્ટસ ઓફરિંગ : કંપની ભારતની અગ્રણી પાક સંરક્ષણ અને પોષણ કંપનીઓમાં એક છે. જેમાં ટ્રેકટર, ગ્રીન લેબલ, પલ્સર, હકામા અને અન્ય બ્રાન્ડસ હેઠળ ૨૦થી વધુ ટેકનિકલ ઉત્પાદનો અને ૧૨૫ ફોર્મ્યુલેશન ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જેમાં જંતુનાશકો, હર્બિસાઈડ્સ, ફૂગનાશકો અને જૈવિક અને પીજીઆર ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પ્રીમિયમ પોર્ટફોલિયોમાં ૧૧ ફોકસ્ડ મહારત્ન ઉત્પાદનો અને ૩૩ મહારત્ન ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જેમ કે હર્કયુલસ, લેથલ, હચીમન, શિનવા વગેરે બ્રાન્ડસ છે.
ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક : કંપની ૨૧ લાખથી વધુ ખેડૂતો સાથે જોડાણ ધરાવે છે, તેના ભારતભરમાં નેટવર્ક દ્વારા ૨૮ ડેપો, ૭૫૦૦ ડિસ્ટ્રીબ્યુટરો અને૭૦,૦૦૦ ડિલરો, ૬૮૦ કર્મચારીઓ તેમ જ ૭૦૦ પાક સલાહકારોની વેચાણ અને માર્કેટિંગ ટીમ છે. કંપની પાસે ૨૨ દેશોમાં નિકાસ નેટવર્ક પણ છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ૨ ટેકનિકલ સિન્થેસિસ પ્લાન્ટ, એક ઈઓયુ સહિત ૬ ફોર્મ્યુલા પ્લાન્ટ અને એક જૈવિક પ્લાન્ટ સાથે સંપૂર્ણ રીતે સંકલિત છે, જે ચોપંકી-રાજસ્થાન, સામ્બા અને ઉધમપુર-જમ્મુ અને કાશ્મીર, તેમ જ દહેજ-ગુજરાતમાં ટોલ વ્યવસ્થા હેઠળ છે, જેની સ્થાપિત ક્ષમતા એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટ અને ઈન્ટરમીડિયરીઝની વાર્ષિક ૧૫,૮૦૦ મેટ્રિક ટન તેમ જ લિક્વિડની વાર્ષિક ૩૦,૯૦૦ કિલોલીટર છે.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ : કંપની પાસે આંતરરાષ્ટ્રીય સંશોધન આધારિત સંસ્થાઓ જેમ કે ઓએટી એગ્રી કો. લિ. જાપાન અને નિશાન કેમિકલ કોર્પોરેશન-જાપાન સાથે જોડાણ અને સહયોગ છે. આ સાથે ચાર સંશોધન અને વિકાસ-રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો પણ છે, જેમાં ચોપંકીમાં જીએલપી-પ્રમાણિત સંશોધન સુવિધાનો સમાવેસ થાય છે. જેની પાસે ૨૪ મંજૂર અને ૨૧ પેન્ડિંગ પેટન્ટનો ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પોર્ટફોલિયો અને ૨૧ પેન્ડિંગ પેટન્ટો છે. જે આઈઆઈએલ બાયોલોજિકલ્સ આર એન્ડ ડી સેન્ટર કેન્દ્રમાં વિસ્તરણની યોજના બનાવી રહી છે.
મેનેજમેન્ટ નોંધ-૨૮, મે ૨૦૨૫ના રાજેશ કુમાર અગ્રવાલ-મેનેજિંગ ડિરેકટરના નિવેદનો : જૂનની શરૂઆતના ભાગમાં જ પાકની વાવણી થોડી શરૂ થવાની ધારણા છે, રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતરમાં પાકમાં સારી કમાણી કરી છે, કેમ કે પાકની સ્થિતિ સારી હતી અને મોટાભાગના ખેતરના પાકના ભાવ ઘણા સારા હતા. ઉદ્યોગના કાચામાલના ભાવ સ્થિર છે અને એકંદરે, હું કહી શકું છુ કે, વૈશ્વિક સંકેતો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ નાણા વર્ષ ૨૦૨૬માં પણ ચાલુ રહેશે. વર્ષ દરમિયાન અમારા લોન્ચ સારા રહ્યા. સૌથી વધુ લોન્ચ લગભગ ૧૨ લોન્ચ નાણા વર્ષ ૨૦૨૫માં કરવામાં આવ્યા હતા. આ ૧૨ લોન્ચમાંથી, ચાર પ્રોડક્ટસ હું આ વર્ષે ફોક્સ્ડ મહારત્નને આપી શકું છુ. ગત વર્ષે ફોક્સ્ડ મહારત્નની કુલ સંખ્યા ૧૨ હતી, જે વધારીને ૧૬ કરવામાં આવી છે. હું કહી શકું છું કે, તે એક ટ્રાયલ લોન્ચ હતી. એટલા માટે ગત વર્ષે પ્રાપ્ત થયેલી સંખ્યા બહુ મોટી નહોતી. જેથી આપણે અપેક્ષા રાખી શકીએ છીએ કે, આ ત્રિમાસિકમાં આ પ્રોડક્ટસ અમારી વૃદ્વિ વ્યુહરચનામાં અમને સારી રીતે સપોર્ટ આપશે. વર્ષ ૨૦૨૬ માટે પણ લોન્ચની સંખ્યા મોટી છે. લગભગ અડધો ડઝન ઉત્પાદનો લોન્ચ માટે તૈયાર છે. નિસાન ઈન્સેક્ટિસાઈડ ઈન્ડિયા માટે સૌથી મહત્વપૂર્ણ જાપાની ભાગીદાર છે અને દેશના લગભગ તમામ મુખ્ય પાક માટે અમારા પેટન્ટ કરાયેલા ઉત્પાદન પોર્ટફોલિયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અમારી પાસે ખાસ કરીને હર્બિસાઈડ છે અને તે દેશભરમાં ખૂબ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ભલે તે ચોખા, સોયાબીન, કઠોળ, મકાઈ, અનાજ, ઘઉં, શેરડી હોય અને તે તેમના સેગ્મેન્ટમાં નંબર વન ઉકેલ છે. કંપની દેશના સમગ્ર ભાગમાં બધા પાક વિભાગોમાં હાજર છે, અને અમારી પાસે દરેક ઋતુ માટે દરેક પાક માટે ઉકેલો-સોલ્યુશન્સ છે, જે અમને સમગ્ર વર્ષ દરમિયાન અત્યાર અને વેચાણ કરતાં વધુ ઉત્સાહિત બનાવે છે. જેથી ૬૦ ટકા બિઝનેસ વર્ષના પહેલા ભાગમાં આવે છે, પરંતુ જો તમે જોઈ શકો છો કે ચોથા ત્રિમાસિકમાં અમે અમારી ટોપલાઈન અને બોટમલાઈનમાં સારો વધારો નોંધાવ્યો છે અને હું માનું છું કે આ પ્રકારની સુવિધા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સારા સમાચાર છે, અમે આ દહેજ પ્લાન્ટમાં લગભગ રૂ.૧૫૦ કરોડનું રોકાણ કર્યું હતું અને હવે આ પ્લાન્ટને સરકાર તરફથી સૈદ્વાંતિક મંજૂરી મળી ગઈ છે, જેનો અર્થ એ છે કે, જૂન મહિનામાં અમે અમારૂ ઉત્પાદન શરૂ કરીશું. આ પ્લાન્ટ જૂન મહિનામાં શરૂ થવાનો છે. જેી અમે ઉત્પાદનમાં આવીએ છીએ અને આ વર્ષે આ પ્લાન્ટ આગામી ત્રણથી ચાર વર્ષમાં ૫૦ ટકાથી વધુના સીએજીઆર સાથે આ વિસ્તરણમાં આશકે રૂ.૧૦૦ કરોડનું યોગદાન આપશે, કેમ કે અપેક્ષાઓ ખૂબ જ મોટી છે અને આ નવા વિસ્તરણથી અમારી આશા ઘણી વધુ છે અને ઘણા નવા ઉત્પાદનો લોન્ચ કરીશું અને આ નવા વિસ્તરણથી ઘણા સારા ઉત્પાદનો માટે અમારી ક્ષમતામાં વધારો કરીશું. અહીં હું અમારા વિસ્તરણ બજેટ વિશે પણ વાત કરવા માગું છું, જે આ વર્ષ માટે અમે લગભગ રૂ.૧૦૦ કરોડ (નાણા વર્ષ ૨૦૨૬) રાખ્યું છે, સોતાનાલામાં એક મોટું રોકાણ થવાનું છે, જે સંપૂર્ણ સ્વચાલિત પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે અને તે ગતિને વેગ આપશે. રૂ.૧૦૦ કરોડના ખર્ચનો મોટાભાગનો હિસ્સો સોતાનાલામાં જવાનો છે.
સંદીપ અગ્રવાલ-ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરના નિવેદનો : નાણા વર્ષ ૨૦૨૫ના ચોથા ત્રિમાસિકમાં લગભગ ૩૨ ટકાની મજબૂત આવક વૃદ્વિ નોંધાવી છે. ખૂબ જ સારા માર્જિન સાથે આ વૃદ્વિ રહી છે, જે સારા પ્રોડક્ટ મિક્સ વેચાણ અને ભાવ વ્યુહરચનામાં સુધારા થકી અને કેટલાક નવા લોન્ચને કારણે છે. નાણા વર્ષ ૨૦૨૫ માટે ઈબીટા માર્જિનમાં પણ ૨૮૧ બેઝિઝ પોઈન્ટનો સુધારો થયો છે. નાણા વર્ષ ૨૦૨૫માં ઉપયોગમાં લેવાતા મૂડી પર વળતરમાં પણ સુધારો થયો છે.વર્ષ ૨૦૨૫-૨૬ માટે વૃદ્વિ સારી રહેશે. આપણે ખૂબ જ તેજીમાં છીએ અને તેના પર સકારાત્મક છીએ. ઈબીટા લેવલ આપણે પહેલાથી જ ૧૧.૫ને વટાવી ચૂક્યા છીએ. જેમાં સુધારો થતો રહેશે. જો હું સામાન્ય ઉત્પાદન વિશે વાત કરું, તો તે મોટા પ્રમાણમાં વેચાય છે. જે ખૂબ જ લોકપ્રિય છે. જેથી ઘણા બધા ઉત્પાદનો છે, જે ખૂબ જ ઊંચા જથ્થામાં વેચાઈ રહ્યા છે. જેથી મૂલ્યની દ્રષ્ટિએ, તમે ૧૦ કરોડથી ૧૫ કરોડ રૂપિયાની સામાન્ય સંખ્યાથી શરૂઆત કરી શકો છો. પરંતુ બીજા વર્ષે જ, તમે આ ઉત્પાદનથી ૪૦ કરોડથી ૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકો છો. કંપનીના સ્થાનિક બિઝનેસ ૯૫ ટકા છે, પાંચ ટકા નિકાસ છે. કંપની પાસે ૧૫૦થી વધુ આર એન્ડ ડી વૈજ્ઞાાનિકોની ટીમ છે, જે ઉત્પાદનોના વિકાસ, ફોર્મ્યુલેશન્સ અનેટેકનીકલના વિવિધ તબક્કામાં પ્રવૃત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૩૯.૫૦, માર્ચ ૨૦૨૩ના રૂ.૩૦૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૪૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૬૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૪૩૦
બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૨૦૧૪માં ૧:૨ શેર, વર્ષ ૨૦૨૨માં ૧:૨ શેર બોનસ થકી કુલ ઈક્વિટીમાં ૬૦ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
બુક વેલ્યુ : (૧) વર્ષ ૨૦૨૪માં શેર દીઠ રૂ.૧૦૦૦ ભાવે કુલ પાંચ લાખ શેરોનું ૧.૬૯ ટકા પેઈડ અપ ઈક્વિટીનું બાયબેક (૨) વર્ષ ૨૦૨૧માં ૫.૦૫ ટકા પેઈડ-અપ ઈક્વિટી ૯,૩૫,૯૦૫ શેરોનું બાયબેક
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ અગ્રવાલ પરિવાર પાસે ૭૨.૩૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૯.૫૯ ટકા, એફઆઈઆઈઝ પાસે ૪.૪૯ ટકા, એચએનઆઈઝ અને કોર્પોરેટ પાસે ૪.૪૭ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારક રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૯.૧૫ ટકા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૧.૭૨ ટકા વધીને રૂ.૨૦૦૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧ ટકા થકી ચોખ્ખો નફો ૩૯ ટકા વધીને રૂ.૧૪૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૮.૩૮ હાંસલ કરી છે.
(૨) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૩૨ ટકા વધીને રૂ.૩૫૯ કરોડ મેળવી ચોખ્ખો નફો ૮૫ ટકા વધીને રૂ.૧૩.૮૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪.૭૭ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૪ ટકા વૃદ્વિએ રૂ.૨૨૮૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૨.૮૯ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૭૨.૩૦ ટકા અગ્રવાલ ફેમિલીના પ્રમોટર્સ હોલ્ડિંગની, વર્ષ ૨૦૨૪માં શેર દીઠ રૂ.૧૦૦૦ ભાવે અને વર્ષ ૨૦૨૧માં ૫.૦૫ ટકા પેઈડ-અપ ઈક્વિટીનું બાયબેક કરનાર,ઈન્સેક્ટિસાઈડ્સ ઈન્ડિયા લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૩૦ સામે શેર રૂ.૯૦૯ ભાવે ઉદ્યોગના ૩૮ના પી/ઈ સામે ૧૪.૪૬ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.