ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market Today: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદતાં શેરબજાર કડડભૂસ થયા છે. સેન્સેક્સ 520 પોઈન્ટના કડાકા સાથે 80000નું લેવલ તોડવાની તૈયારીમાં છે. જે 564.94 પોઈન્ટના કડાકા સાથે 80000નું લેવલ તોડી 79979.05 થયો હતો. રોકાણકારોની મૂડીમાં આજે વધુ 3 લાખ કરોડનો ઘટાડો થયો છે.
નિફ્ટી 24500નું લેવલ તોડ્યું
નિફ્ટી50 પણ આજે અત્યંત મહત્ત્વનું 24500નું લેવલ તોડી 24387.55ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 11.19 વાગ્યે નિફ્ટી 153.25 પોઈન્ટ તૂટી 24428.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 264.70 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 3921 શેર પૈકી 1242 સુધારા તરફી જ્યારે 2521 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. આજે 221 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 128 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. બીજી તરફ 148 શેરમાં અપર સર્કિટ અને 79 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતાં.
શેરબજારમાં કડાકાનું કારણ
ટ્રમ્પનો ટેરિફ બોમ્બઃ ટ્રમ્પે અગાઉ 1 ઓગસ્ટના રોજ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ગઈકાલે વધુ 25 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. રશિયા પાસેથી ક્રૂડની આયાત બદલ ટ્રમ્પે નવી દિલ્હી પર અનેક પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે. જેમાં ટેક્સટાઈલ, મરીન, લેધર અને ફાર્મા નિકાસો પર અસર થવાની ભીતિ સાથે આ સેક્ટરના શેર્સ ગગડ્યા છે.
એફઆઈઆઈ વેચવાલીઃ ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)એ બુધવારે રૂ. 4999.10 કરોડની વેચવાલી નોંધાવી હતી. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે માર્કેટ અસ્થિર બન્યું છે. સ્થાનિક બજારો પર પ્રેશર વધતાં વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારોઃ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. આજે બ્રેન્ટ ક્રૂડ 1 ટકા ઉછળી 67.56 ડોલર પ્રતિ બેરલ થયુ હતું. ક્રૂડના વધતા ભાવો ભારતના આયાત બિલ પર બોજો વધારી શકે છે.
રૂપિયો મજબૂત રહ્યો
અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો થયો હોવા છતાં આજે ડોલર સામે રૂપિયો મજબૂત રહ્યો હતો. જે આજે 3 પૈસા સુધારા સાથે 87.69 પર ખૂલ્યો હતો. બાદમાં 4 પૈસા સુધર્યો હતો. ટ્રમ્પના આ ટેરિફ બોમ્બ સામે ભારતે ઝૂકવાનો ઈનકાર કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તેઓ ટેરિફ સામે ઝૂકશે નહીં. તે પોતાના 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષાની ખાતરી કરતાં જ નિર્ણય લેશે.








